પાકિસ્તાને રાત્રે 8 વાગ્યે જમ્મુ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો. ભારતીય વાયુ સંરક્ષણ મિસાઇલોએ બધા ડ્રોનને તોડી પાડ્યા. દરમિયાન જમ્મુમાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ છવાઈ ગયો છે. પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. ઘણા ડ્રોન જોવા મળ્યા છે. આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણી જગ્યાએ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સુરક્ષાના પગલે ભારતમાં જમ્મુથી રાજસ્થાન સરહદ સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.
ભારતે પણ પાકિસ્તાન પર વળતો હુમલો શરૂ કર્યો છે. ભારતે લાહોર-સિયાલકોટ પર હવાઈ હુમલો કર્યો છે. ભારતે લાહોર અને સિયાલકોટ પર હવાઈ હુમલા કરીને બદલો લીધો છે. સરહદ પર ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ હવે ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભારતે લાહોર અને સિયાલકોટમાં હવાઈ હુમલા કર્યા છે. બીજી તરફ ભારતે પાકિસ્તાનના બે ફાઈટર જેટને ધ્વસ્ત કરી દીધા છે. ભારતે પાકિસ્તાનના સરગોડા એરબેઝ પર જ પાકિસ્તાનના JF-17 અને F-16 ને પાડી નાંખ્યા છે.
ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કરી તેના સરગોધા, લાહોર, સિયાલકોટ, ફૈસલાબાદ, મુલતાનની સંરક્ષણ પ્રણાલીઓને નષ્ટ કરી છે. ભારતે તેની જવાબી કાર્યવાહીમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનના AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) ને નષ્ટ કરી દીધું છે.
પાકિસ્તાને જેસલમેરમાં પણ મિસાઈલ હુમલો કર્યો છે. પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો છોડવામાં આવી રહી છે. અનેક ડ્રોન હુમલાઓ પણ કરવામાં આવ્યા છે. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે. અત્યાર સુધીમાં 30 થી વધુ મિસાઇલોનો નાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની હુમલા બાદ આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે. ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી. જોકે સાવચેતીના પગલા રૂપે વહીવટીતંત્રે સમગ્ર જેસલમેરમાં વીજળી કાપી નાખવામાં આવી છે.
ગુરુવારે મોડી રાત્રે પંજાબના પઠાણકોટમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અનેક હુમલા કરવામાં આવ્યા હતા. એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા. આ હુમલામાં કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી. હરિયાણાના પઠાણકોટ, અમૃતસર, જલંધર, ગુરદાસપુર, કપૂરથલા, હોશિયારપુર, મોહાલી, ચંદીગઢ અને પંચકુલામાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
ગુરુવારે સાંજે જમ્મુ અને કાશ્મીરમાં એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો. આકાશમાં 2 થી 3 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. આ પાકિસ્તાની ડ્રોનને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સૈનિકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
પાકિસ્તાનના ડ્રોન હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ડ્રોન જમીન પર પડી શક્યા નહીં. તે પહેલાં જ તેમનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન શહેરમાં યુદ્ધના સાયરન વગાડવામાં આવ્યા હતા. હાઈ એલર્ટ વચ્ચે બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
રાવલપિંડીથી ડ્રોન છોડાયા!
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને આ ડ્રોન રાવલપિંડીથી છોડ્યા હતા. ભારતે ફરી એકવાર પાકિસ્તાનના હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. દુશ્મન દેશ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સરહદી રાજ્યો પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાન હાઈ એલર્ટ પર છે. પંજાબના ગુરદાસપુર, રાજસ્થાનના બાડમેર, જેસલમેર અને જોધપુરમાં દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ લાદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ શહેરો માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બિકાનેરના શ્રી ગંગાનગરમાં વહીવટીતંત્રએ આગામી આદેશ સુધી ડ્રોન ઉડાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે.
બીજી તરફ ઓપરેશન સિંદૂરના બીજા દિવસે એટલે કે બુધવાર-ગુરુવાર રાત્રે પાકિસ્તાને ભારતના 15 થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે રશિયા પાસેથી મળેલી S400 સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. બદલામાં ભારતે ગુરુવારે સવારે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. આ માટે ઇઝરાયલથી મળેલા હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગુરુવારે બપોરે 2.30 વાગ્યે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને પણ નિશાન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
