SURAT

રાંદેરમાં પતિના ત્રાસથી પરિણીતાની બે બાળકો સાથે સામુહિક આત્મહત્યા

સુરત: (Surat) રાંદેરમાં પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી મૂળ બિહારની 32 વર્ષની મહિલાએ 9 વર્ષની દીકરી (Daughter) અને 5 વર્ષના દીકરાને (Son) ફાંસો આપીને હત્યા કર્યા બાદ જાતે પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાને તેનો બીજો પતિ દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી બીજો પતિ તેને છોડીને જતો રહ્યો હતો. તેવામાં આજરોજ રવિવારે બપોર બાદ મહિલાએ સંતાનોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી.

  • પાલનપુર પાટિયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી 32 વર્ષની પરિણીતાએ તેની 9 વર્ષની દીકરી અને 5 વર્ષના દીકરાને ગળે ફાંસો આપી દીધા બાદ પોતે ફાંસો ખાઈ લેતા હાહાકાર
  • પરિણીતાના આ બીજા લગ્ન હતા, અગાઉ બિહારમાં કરિયાણાની દુકાન ચલાવતા રાજેશકુમાર પ્રસાદ સાથે તેણીએ ઘરસંસાર માંડ્યો હતો
  • દરમિયાન દુકાનમાં કામ કરતાં મુન્નાકુમાર સાથે પ્રેમસંબધ બંધાતા છૂટાછેડા થઈ ગયા હતા અને તેણી મુન્નાકુમાર સાથે લગ્ન કરી લીધાં હતા

ઘટના સ્થળથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારના શિવાન જિલ્લાના શિવાન ગામના કેદારસ પ્રસાદ પ્રભુદયાલ ચોરસીયાની દીકરી રીટાદેવી ઉર્ફે નેહા( 32 વર્ષ)ના લગ્ન શિવાન જિલ્લાના જયજોર ગામમાં રહેતા રાજેશકુમાર વિરેન્દ્ર પ્રસાદ સાથે દસેક વર્ષ પહેલા થયા હતા. રીટાદેવીને રાજેશકુમારથી દીકરી જન્મી હતી. જેનું નામ અંશીતા હતું. રાજેશકુમાર ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેની દુકાનમાં મુન્નાકુમાર વર્માપ્રસાદ યાદવ(રહે. શિવાન,બિહાર) નોકરી કરતો હતો. રીટાદેવીની આંખ મુન્નાકુમાર સાથે મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રાજેશકુમારને ખબર પડતા તેને સામેથી રીટાદેવીને ડિવોર્સ આપી દીધા હતા. ત્યારબાદ રીટાદેવી મુન્નાકુમાર સાથે લગ્ન કરીને સુરત આવી ગઈ હતી.

દીકરી અંશીતાને પણ સાથે લઈને આવી હતી. અહીં હાલમાં રીટાદેવી બીજા પતિ મુન્નાકુમાર અને અંશીતા સાથે રહેતી હતી. રીટાદેવીએ મુન્નાકુમારના દીકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ રોબટ રાખ્યું હતું. હાલમાં અંશીતા 9 વર્ષની અને રોબટ 5 વર્ષનો છે. મુન્નાકુમાર અહીં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક મહિનાથી મુન્નાકુમાર રીટાદેવીને દહેજ માટે ત્રાસ આપતો હતો. તેને મારઝુડ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. ત્રણ મહિના પહેલા મુન્નાકુમારે તેની પત્નીને કહ્યું કે, તે બિહારથી દહેજ લઈને આવશે તો જ સાથે રહેશે એવું કહીને પત્ની અને બંને સંતાનોને છોડીને જતો રહ્યો હતો. દરમિયાન આજરોજ બપોરે રીટાદેવીએ અંશીતા અને રોબટને ટૂંપો આપીને હત્યા કરીને જાતે છત સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાત્રે રાંદેર પોલીસે રાજેશકુમારની ફરિયાદ લઈને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આજે જ પહેલા પતિએ આવીને દરવાજો ખખડાવ્યો પરંતુ …
પહેલા પતિ રાજેશકુમારને રીટાદેવીના મુન્નાકુમાર સાથેના પ્રેમસંબંધની ખબર પડી એટલે તેને સામેથી ડિવોર્સ આપી દીધા હતા. ત્યાર બાદ તેણીએ મુન્નાકુમાર સાથે લગ્ન કરી લીધા હતા. હવે મુન્નાકુમાર રીટાદેવીને રૂપિયા માટે ત્રાસ આપતો હતો. તેની જાણ પહેલા પતિ રાજેશકુમારને થતા તે રીટાદેવીને મળીને સાંત્વના અને જે મદદ કરી શકાય તે મદદ કરવા માંગતો હતો. રાજેશકુમારે ગતરોજ રીટાદેવી સાથે વાત પણ કરી હોવાની માહિતી મળી છે. તેથી તે ગતરોજ બિહારથી સુરત આવવા નીકળ્યો હતો. આજ રોજ ચારેક વાગે રાજેશકુમાર રીટાદેવીના ઘરે પહોંચ્યો હતો. તેને દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈએ અંદરથી દરવાજો ખોલ્યો ન હતો. તેથી રાજેશકુમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. પોલીસે દરવાજો તોડીને જોતા અંદર બંને બાળકોની બોડી પડી હતી અને રીટાદેવી ફાંસો ખાઈને લટકેલી હતી.

Most Popular

To Top