SURAT

પાંડેસરામાં પતિના મૃત્યુ બાદ લીવ ઇનમાં રહેતી યુવતીને પ્રેમીએ છોડી દેતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

સુરત: સુરત (Surat) પાંડેસરામાં પતિના મૃત્યુ બાદ લીવ ઇનમાં રહેતી યુવતીને પ્રેમીએ છોડી દેતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું (Suicide) હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ પ્રેમી સામે પોલીસ સ્ટેશનમાં (Police Station) એક્ટ્રોસિટીની નોંધાવેલી ફરિયાદ (FIR) પાછી ખેંચી લેવા ફોન પર દબાણ કરાતું હોવાથી નેહા માનસિક તણાવમાં રહેતી હોવાને કારણે આવું પગલું ભર્યું હોવાનો ભાઈએ આરોપ લગાડ્યો છે. બે ભાઈઓની એકની એક બહેનના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ભાઈએ જણાવ્યું હતું કે નેહાને આપઘાત સુધી લઈ જનાર સામે ગુનો નોંધી પોલીસ ન્યાય અપાવે એ જ અમારી માંગણી છે.

પરિવારે જણાવ્યું હતું કે ઘટના આજે બપોરની હતી. નેહા ભીમરાવ સાલુંકે આજે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં નેહાને મૃત જાહેર કરાઈ હતી. નેહાના લગ્ન 20 વર્ષની ઉંમરે જ થઈ ગયા હતા. જો કે કોઈ કારણસર લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારથી નેહા પિતામાં ઘરમાં પિયરમાં જ રહેતી હતી. બે વર્ષથી નેહાને એકનાથ નામના યુવક સાથે પ્રેમ થઇ જતા બન્ને સાથે લીવ ઇનમાં રહેતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે હું લગ્ન કરીશ એવું કહેતા એકનાથે 2022માં નેહાને એના ઘરમાંથી કાઢી મુકતા નેહાએ ફરી પિયરમાં આશરો લીધો હતો. એકનાથ પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતો હતો. માનસિક તણાવમાં રહેતી નેહાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એકનાથ સામે એક્ટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી. બસ એ ફરિયાદ પાછી ખેંચી લેવા નેહાને વારંવાર ફોન પર દબાણ કરાતું હતું. ફોન કરનાર એકનાથના મિત્રો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. જેને લઈ નેહાએ આખરે માનસિક તણાવમાં જ આવું અંતિમ પગલું ભરી દુનિયા ને અલવિદા કરી દીધી છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top