SURAT

સુરતમાં સગા ભાઈએ બોગસ વસિયત અને દસ્તાવેજ બનાવી મકાન નામે કરી વેચી માર્યું

સુરત: (Surat) સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સગા ભાઈ દ્વારા છેતરપિંડી (Brother Fraud) કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરાના એલઆઈજીમાં (LIG) સ્વતંત્ર સેનાની સ્કીમમાં મળેલું મકાન પચાવી પાડવા માટે ભાઈએ મકાનનો બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડ્યું હતું. તે માટે ભાઈએ ખોટું વસિયતનામું અને માતાના અંગૂઠાની ખોટી છાપ ઉપસાવી હતી. આ સમગ્ર છેતરપિંડી બહાર આવતા ભાઈએ ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • પાંડેસરામાં સ્વાતંત્ર્ય સેનાની સ્કીમનું મકાન બોગસ દસ્તાવેજ બનાવી ભાઈએ પચાવી પાડ્યું
  • સગા ભાઈએ માતાના નામના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી મિલકતના દસ્તાવેજ પોતાના નામે કર્યા બાદ મિલકત વેચી મારી
  • ન્યૂ કોસાડ રોડ પર રહેતા કનુ પટેલે સગા ભાઈ શાંતિલાલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
  • કનુભાઈ પટેલે છેતરપિંડીથી મકાન પચાવી પાડ્યાનો આક્ષેપ
  • ખોટું વસિયતનામું બનાવી વારસાઈ જતી કરતા હોવાનું ખોટું સંંમતિપત્ર પણ બનાવ્યું

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમરોલી ન્યુ કોસાડ રોડ મારુતિધામ સોસાયટીમાં રહેતા કનુભાઈ જીવાભાઈ પટેલ (ઉ.વ.67)એ ગતરોજ શાંતીલાલ જીવાભાઈ પટેલ (રહે,. કાપડીવાળુ ફળિયું રાસ ગામ બોરસદ આણંદ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની સંયુક્ત માલિકીની પાંડેસરા રે.સ નં- 98, 99, 100 વાળી જમીનમાં નોંધાયેલી એલ.આઈ.જી 512, સ્વતંત્ર સેનાની સ્ક્રીમમાં મકાનો પૈકી મકાન નં-447 વાળી મિલ્કત પોતાના અંગત આર્થિક લાભ માટે પચાવી પાડી હતી.

જે માટે આરોપી શાંતીલાલએ તેમની માતા રામબેન જીવાભાઈનું ખોટુ વસીયતનામું બનાવી માતાના નામે અંગુઠાનું નિશાન કરી તેમજ અન્ય વારસદારોએ મિલ્કતમાંથી પોતાનો હક્ક હિસ્સો જતો કર્યો છે તેવુ ખોટું બનાવટી સમંતિ પત્ર એટલે વાંધો ન હોવાનો કરાર બનાવી કનુભાઈ પટેલ અને તેની પત્ની અનસુયાની ખોટી સહી કરી ખોટુ સમંતિ પત્ર બનાવ્યા હતા અને તેનો ઉપયોગ ગુ.હા. બોર્ડની કચેરીમાં રજુ કરી શાંતીલાલે તેના નામે દસ્તાવેજ બનાવી લીધા હતા અને ત્યારબાદ આ ખોટા દસ્તાવેજના આધારે મિલ્કત અનીતા રાજેશ સિંહ અને રૈના બ્રિજેશ સિંહને વેંચાણ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે કનુભાઈની ફરિયાદને આધારે શાંતીલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સગા ભાઈ દ્વારા છેતરપિંડીની આ ઘટના ચોંકાવનારી છે. આ કેસમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top