National

એસ્ટ્રાઝેનેકાએ આખા વિશ્વમાંથી કોવિડની રસી પાછી મંગાવી, જણાવ્યું આ કારણ

નવી દિલ્હી: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) દ્વારા બનાવવામાં આવેલ કોરોના વાયરસની રસીના વિશે થોડા સમય પહેલા મોટો ખુલાસો થયો હતો. આ રસી બનાવનાર ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ થોડા દિવસો પહેલા કોર્ટમાં વેક્સીનની (Vaccine) ખતરનાક આડઅસર (Side Effects) સ્વીકારી હતી. ત્યાર બાદ હવે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપનીએ વિશ્વમાંથી પોતાની રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.

કોરોનાકાળ દરમિયાન એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો ઉપયોગ ભારતમાં Covishield નામથી કરવામાં આવ્યો હતો. જેથી આ ખુલાસા બાદ સમગ્ર દેશમાં ચિંતાના વાદળો છવાઇ ગયા હતા. જો કે ખુલાસા બાદ કંપનીએ આડઅસર મામલે અન્ય માહિતીઓ પણ આપી હતી. તેમજ આ રસીને સુરક્ષીત પણ ગણાવી હતી. ત્યારે હવે કંપનીએ આ રસીને બજારમાંથી હટાવવાનો નિર્ણય લેતા કુતુહલ સર્જયું હતું. પરંતુ આ નિર્ણય પાછળ કંપનીએ કેટલાક અન્ય કારણો પણ જણાવ્યા છે.

કંપનીએ શું માહિતી આપી?
થોડા દિવસો પહેલા કંપનીએ પણ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર પણ છે. જેમ કે રસીના કારણે લોહી ગંઠાઈ જવું અને લોહીના પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થવો, હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક જેવી અસરો થઇ શકે છે. ત્યારે આ રસીને બજારમાંથી પાછળ ખેંચવાનું કારણ આપતા AstraZenecaએ મંગળવારે કહ્યું હતું કે બજારમાં જરૂરિયાત કરતાં વધુ રસી ઉપલબ્ધ છે, તેથી કંપનીએ તમામ રસીઓ બજારમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

બજારમાંથી રસી પાછી ખેંચવા માટેની અરજી 5 માર્ચે કરવામાં આવી હતી, જે 7 મેના રોજ અસરકારક બની હતી. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. તેના સૂત્રનો ઉપયોગ કરીને સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી.

કેવી રીતે મામલો પ્રકાશમાં આવ્યો
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે તેઓની કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડઅસર પેદા કરી શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. તેમજ શરીરમાં લોહી ગંઠાઈ જવાને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.

ભારતમાં આ AstraZenecaની રસી અદાર પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી હતી. કંપનીએ આ રસી કોવિશિલ્ડના નામથી બજારમાં મૂકી હતી. તેમજ આ રસી ભારતમાં કરોડો લોકોને આપવામાં આવી હતી. તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top