National

‘નિતિશ કુમાર માટે NDAના દરવાજા હંમેશા માટે બંધ, અમિત શાહે બિહારની સરકાર પર કર્યા આકરા પ્રહાર

બિહાર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) તેમના બે દિવસીય બિહાર (Bihar) પ્રવાસે પહોંચ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે સાસારામના (Sasaram) લોકોની માફી માંગી હતી કારણ કે તેમની રેલી ત્યાં થઈ શકી ન હતી. અમિત શાહે કહ્યું કે હું જ્યારે આગામી સમયમાં બિહાર આવીશ ત્યારે ચોક્કસ સાસારામ આવીશ. શાહે કહ્યું, સાસારામમાં હિંસાને કારણે ત્યાં જઈ શક્યા નથી. આ સાથે જ અમિત શાહે બિહાર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું સાસારામની માફી માંગવા માંગુ છું, પરંતુ સાસારામના લોકોને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં જ અમે મહાન સમ્રાટ અશોકની યાદમાં સાસારામમાં એક સંમેલન યોજીશું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય. કારણ કે સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. આગળ તેમણે કહ્યું કે જ્યારે મેં રાજ્યપાલ સાથે આ વિશે વાત કરી તો લલન સિંહને ખોટું લાગી ગયું. હું તેમને કહેવા માંગુ છું કે હું આ દેશનો ગૃહમંત્રી છું, બિહાર પણ આ દેશનો એક ભાગ છે. જો તમે શાંતિ વ્યવસ્થા સંભાળી ન શક્યા તો અમારે ચિંતા કરવાની જરૂર છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપ બિહારની તમામ સીટો જીતશે
ગૃહમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ભાજપ નીતીશ કુમારને એનડીએમાં પરત મેળવી લેશે, પરંતુ આજે તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર અને તેમની પાર્ટી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. હવે તેઓ ક્યારેય એનડીએમાં સામેલ નહીં થાય. અમિત શાહે કહ્યું કે 2024માં લોકસભાની ચૂંટણી છે અને આ ચૂંટણીઓમાં ભાજપ 40માંથી 40 બેઠકો જીતશે અને આ ચૂંટણીઓ પછી બિહાર સરકાર પોતાના બળે પડી જશે.

અમિત શાહે લાલુ પ્રસાદને યાદ કર્યા
અમિત શાહે લાલુ પ્રસાદ યાદવને જંગલ રાજના પ્રણેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, નીતીશ બાબુ, સત્તાની ભૂખે તમને લાલુના ખોળામાં બેસવા માટે મજબૂર કર્યા, પરંતુ અમારી કોઈ મજબૂરી નથી, લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ હલ કરીશું. તેમણે કહ્યું કે, મેં આવી સ્વાર્થી સરકાર જોઈ નથી. જેઓ સત્તાના લોભમાં માત્ર પોતાના વિશે જ વિચારે છે. શાહે આગળ કહ્યું કે, આજે હું લાલુજીને પણ કહેવા આવ્યો છું, તમે નીતીશ બાબુને જાણો છો, પીએમ તો બનાશે નહીં કારણે કે ત્યાં જગ્યા ખાલી નથી. દેશની જનતા પીએમ મોદીને ત્રીજી વખત પણ ચૂંટશે. ન તો તેજસ્વી CM બનશે, ન નીતીશ પીએમ બનશે.

‘ખરાબ ઈરાદા અને ખરાબ નીતિની સરકાર’
ગૃહમંત્રી અમિત શાહે બિહાર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, બિહાર સરકાર ખરાબ ઈરાદાઓ અને ખરાબ નીતિઓની સરકાર છે. ભ્રષ્ટાચારની B, અરાજકતાની A અને દમનની D… આ ત્રણેયને જોડીને આ સરકાર બની છે અને તેને જડમૂળથી ફેંકી દેવી પડશે.

‘તમે ઘણી પાર્ટીઓને છેતર્યા?’
સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, ‘નીતીશ બાબુ, તમે તમારા જીવનમાં ઘણી પાર્ટીઓ બદલી છે, ઘણા લોકોને છેતર્યા છે, પરંતુ જે યુપીએમાં તમે લાલુ સાથે ગયા હતા, પણ તેણે બિહારને શું આપ્યું?’

Most Popular

To Top