Gujarat

નડિયાદ: પતિ-પત્નીના ઝઘડામાં પતિએ ફાયરિંગ કરી પત્નીની જાહેરમાં હત્યા કરી નાંખી

નડિયાદ: (Nadiad) પતિ-પત્ની (Husband-Wife) વચ્ચેના ઝઘડામાં નડિયાદ શહેરમાં એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ભરણપોષણનો કેસ કોર્ટમાં (Court) ચાલી રહ્યો હતો. કોર્ટમાં કેસની તારીખ હતી અને તે જ સમયે પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. પતિએ પત્ની પર ફાયરિંગ (Firing) કર્યું હતું. સરાજાહેર હત્યા (Murder) કર્યા બાદ એટલી વાતથી પેટ ન ભરતા પતિએ પોતાનું એક્ટીવા પત્ની પર ચઢાવી દીધું હતું. આ ઘટનાને પગલે નડિયાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિને પોલીસ શોધી રહી છે.

નડિયાદના નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં બુધવારે બપોરે 12 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન હત્યાનો બનાવ બન્યો હતો. મરનાર નિમિષા બેન પરમાર દ્વારા તેમના પતિ રસિક પરમારની વિરૂદ્ધ ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. કેસ બાબતે બુધવારે કોર્ટમાં તારીખ હતી. જોકે તે પહેલાં જ પત્નીની હત્યા કરી દેવાઈ હતી. પતિ રસિક નવરંગ ટાઉનશિપમાં નિમિષાના ઘરની નજીક આવ્યો હતો. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે નિમિષા બેનના પતિ રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા બેન પર ફાયરિંગ કરી હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં તેણે પત્ની પર પોતાનું એક્ટિવા ફેરવી દીધું હતું. અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે ફાયરિંગ સમયે તેણે હેલ્મેટ પહેર્યું હતું પરંતુ ભાગતા સમયે હેલ્મેટ પડી જતાં કેટલાક લોકોએ તેને ઓળખી લીધો હતો.

ફાયરિંગને પગલે નિમિષા બેન ઢળી પડ્યાં હતા. બનાવને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જણાવી દઈએ કે નિમિષા બેનને એક દીકરી છે. હાલ તે ભારતની બહાર છે. આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top