SURAT

સુરતમાં ફરી ખૂની ખેલ ખેલાયો, દિવ્યાંગ યુવકને બે ઈસમોએ બેરહેમીપૂર્વક રહેંસી નાંખ્યો

સુરત: શહેરના કોસાડ વિસ્તારમાં દિવ્યાંગ યુવકની બેરહેમીપૂર્વક હત્યાનો બનાવ બન્યો છે. કોસાડ આવાસ ખાતે રહેતા દિવ્યાંગ વ્યક્તિના સાથળનાભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બે ઈસમો હત્યાને અંજામ આપી ભાગી છૂટ્યાં હતાં. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હત્યાનો આ બનાવ સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ પાસે ગઈકાલે સોમવારે તા. 10મી જૂનની રાત્રિએ બન્યો હતો. અહીં કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિશાદ પોતાના મિત્રની દુકાન પર રાત્રે બેઠો હતો. ત્યારે કોસાડ આવાસની એચ 1 બિલ્ડીંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહાની નામના બે ઇસમો સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા માર્યા હતા. જેના લીધે સંદીપની હાલત ગંભીર થઈ ગઈ હતી. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. તાત્કાલિક તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સંદીપને સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું.

આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે. અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ. ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને ઈસમોએ આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે. રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી એચ વન બિલ્ડીંગમાં રહે છે. આ બંને ઈસમો ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે. અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી છે જેથી અમરોલી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક સંદીપ નિશાદ દિવ્યાંગ છે. ચાર વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદિપનો હાથ કપાઈ ગયો હતો. હાલ રીક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા-પિતા છે. ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top