Charchapatra

ખમ્મા કરો હવે

કોરોનાની બીજી લહેરે અનેક સ્વજનો ગુમાવ્યા તેની યાદ તો જેઓએ કુટુંબના આધારસ્તંભ, મોભી ગુમાવ્યો હોય તેને જિંદગીભર સતાવતી રહેશે. કેમકે માયાવી જીવનમાં બીજાની સહાનુભૂતિ મેળવવાનું ખૂબ જ કપરુ છે તેમ છતાં કોરોનાના દર્દીની સારવાર કરતા તમામ અભિનંદનને પાત્ર છે.

ખાસ મુખ્ય બાબત જોવા મળી કે કોરોનાના દર્દીના મૃત્યુબાદ મૃતદેહના નિકાલની ‘કામગીરી મુસ્લિમ સંસ્થાના સ્વયંસેવકો ખાનગી વાહનમાં જે તે સ્મશાને લઇ જઇ, અન્ય તમામ વ્યવસ્થા કરતા હતા. કોરોનાની ભયંકર મહામારીમાંથી માનવીને શીખવા મળ્યું કે તમામ માનવી એક સરખા છે. માનવી માનવી વચ્ચે કોઇ ભેદભાવ ન રાખવો જોઇએ. માનવતાની મિશાલ કાયમ સળગતી રાખવા માટે દરેક માનવીએ, મગજમાં રહેલી માનસિકતાઓ દૂર કરવી જ પડશે. કુદરત આગળ બધા મનુષ્યો લાચાર છે.

પર્યાવરણ બચાવો, વધુ વૃક્ષ વાવો, પાણી બચાવો, સંગ્રહખોરીથી બચો. નબળાને સહારો આપો. પોતાના ક્ષણિક લાભ માટે અન્યને હાનિ પહોંચાડવાથી દૂર રહો. સર્વ ધર્મ સમભાવનો સિધ્ધાંત અપનાવો. અને હવે કુદરતને ઓળખીને ચાલવાની જરૂર છે. કોરોના તો એક ઝલક બતાવી છે જેથી કુદરત તેનું રૌદ્ર સ્વરૂપ ન ધારણ કરે એ જ પ્રાર્થના કરીએ. કેમકે, આ કોરોનાએ તેની ઝપેટમાં લેવા કોઇ ભેદભાવ નથી રાખ્યો તો પૃથ્વી પરના અન્ય શા માટે ભેદભાવ રાખવો જોઇએ સમજાતુ નથી? અને હવે કોરોના ખમ્મા કરો બહુ થયું.
સુરત – ચંદ્રકાંત રાણા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top