National

કાનપુરમાં એવી તો કેવી આગ લાગી કે 30 કલાકે પણ કાબૂમાં આવી નથી, સેનાએ મોરચો સંભાળ્યો

કાનપુર: (Kanpur) કાનપુરના રેડીમેડ કાપડ માર્કેટમાં (Garments Market) લાગેલી આગને (Fire) 30 કલાક બાદ પણ કાબુમાં લઈ શકાઈ નથી. પરિસ્થિતિ વણસતી જોઈને સેનાએ (Army) ચાર્જ (Charge) સંભાળવો પડ્યો છે. આ સાથે આસપાસના જિલ્લામાંથી (District) ફાયર ટેન્ડરો બોલાવવા પડ્યા હતા. અત્યાર સુધીમાં 700થી વધુ દુકાનો (Shops) બળી જવાના તેમજ 10 કરોડથી વધુ નુકસાન થવાના અહેવાલ છે.

યુપીના કાનપુરના હોઝિયરી-રેડીમેડ માર્કેટમાં છેલ્લા 30 કલાકથી આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે લખનૌ સહિત ફાયર એન્જિન, ડિફેન્સ તેમજ પ્રયાગરાજથી હાઇડ્રોલિક ફાયર સિસ્ટમ પાંચ જિલ્લામાંથી બોલાવવામાં આવી છે. સાથે જ અગ્નિશામક દળની સાથે સેનાએ પણ મોરચો સંભાળ્યો છે. જિલ્લા પ્રશાસને સરકાર પાસે NDRF ટીમની માંગણી કરી જેના પગલે બપોર સુધીમાં NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ સાથે જિલ્લા વહીવટીતંત્ર IIT કાનપુરના નિષ્ણાતોની મદદ લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. તે જ સમયે આગમાં 700 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.

એઆર ટાવરની આસપાસ રહેતા લોકોએ જણાવ્યું કે ગુરુવારે બપોરે લગભગ 1.30 વાગ્યે ટાવરની બહાર રાખવામાં આવેલા ટ્રાન્સફોર્મરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેના તણખા થોડા ડગલાં દૂર એઆર ટાવરના પહેલા માળે રાખવામાં આવેલી કાપડની થેલીઓ પર પડ્યા હતા. જોરદાર પવનને કારણે તણખા જ્વાળાઓમાં ફેરવાઈ ગયા. ગુરુવારે મોડી રાત્રે કાપડ માર્કેટમાં લાગેલી આગ શુક્રવારે સવાર સુધી કાબૂમાં આવી શકી ન હતી. સવાર પડતાની સાથે જ રસ્તાઓ પર વાહનોના લોડ દેખાવા લાગ્યા હતા. જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડીસીપી ટ્રાફિકે એક કિલોમીટરની ત્રિજ્યામાં હમરાજ કોમ્પ્લેક્સ તરફ જતા તમામ રસ્તાઓ અને ગલીઓને સીલ કરી દીધી હતી.

કાનપુરના ડીએમ વિશાખ જી અય્યરે જણાવ્યું કે SDRFની ટીમ પહોંચી ગઈ છે. એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. બંને ટીમ બિલ્ડીંગની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરશે. આગ ઓલવવા માટે પ્રયાગરાજથી હાઇડ્રોલિક ફાયર સિસ્ટમ પણ મંગાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે DIG ફાયરે શુક્રવારે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આગથી બિલ્ડિંગને નુકસાન થયું હતું, નિષ્ણાતને તેનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ડીએમએ કહ્યું કે કાનપુર IITના સિવિલ એન્જિનિયરોની મદદ લેવામાં આવશે. IIT નિષ્ણાતો સમગ્ર બિલ્ડિંગનું નિરીક્ષણ કરશે. જે પણ રિપોર્ટ આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે અનવરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બાસમંડીમાં યુપીનું સૌથી મોટું રેડીમેડ અને હોઝિયરી માર્કેટ છે. ગુરુવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ શનિવાર સુધી સળગી રહી હતી. ભારે પવનના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એઆર ટાવર, હમરાજ કોમ્પ્લેક્સ સહિત નજીકની પાંચ ઈમારતોને લપેટમાં લીધી હતી. આગની લપેટમાં રેડીમેડ અને હોઝિયરીની 700 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. હોઝિયરી અને રેડીમેડ વેપારીઓને અંદાજે રૂ. 10 કરોડનું નુકસાન થયું છે. આગ લાગી તે પાંચ બિલ્ડીંગમાં લગભગ 800 રેડીમેડ અને હોઝિયરીની દુકાનો અને ગોડાઉન હતા.

હમરાજ કોમ્પ્લેક્સ અને એઆર ટાવરમાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું કે આગ એક બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગમાં ફેલાવાનું મુખ્ય કારણ એ છે કે વેપારીઓએ દુકાનોની દીવાલો તોડીને બીજી દુકાનમાં જવાનો રસ્તો બનાવ્યો હતો. જેના કારણે આગ અંદર ફેલાઈ ગઈ હતી. એક બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગમાં આગ ફેલાવવાનું આ મુખ્ય કારણ બની ગયું હતું.

Most Popular

To Top