Comments

ન્યાય કયારેય મફત મળતો નથી, ન્યાય માટે કાયમ કિંમત ચુકવવી પડે છે

આપણા દેશ અને રાજયમાં મફત ન્યાય મળે તેવી વ્યવસ્થા છે. સાંભળવા માટે આ વ્યવસ્થા સારી લાગે છે, પરંતુ વાસ્તવમાં  ન્યાય કયારેય મફત મળતો નથી. કારણ ન્યાય મેળવવા માટે વિવિધ પ્રકારની કિંમત ચુકવવી પડે છે. 2014 માં હું પણ આવી સ્થિતિમાંથી પસાર થયો. ત્રણ દાયકા પોલીસ,  કોર્ટ અને પોલીટીકલ રીપોર્ટીંગ કર્યું. અનેક કેસોનું રીપોર્ટીંગ પણ કર્યું, જેના કારણે અસંખ્ય વખત કોર્ટમાં ગયો હતો. કોર્ટની કાર્યવાહી અને નિયમોથી વાકેફ હતો. અનેક વકીલો પણ મિત્ર થઈ ગયા હતા, પરંતુ 2014 માં જયારે હું કોર્ટમાં પક્ષકાર તરીકે ન્યાય મેળવવા માટે ગયો ત્યારે પહેલી વખત સમજાયું કે તમે સાચા છો અને તમને અન્યાય થયો છે તેવું કોર્ટમાં સાબિત કરવું બહુ મુશ્કેલ કામ હોય છે. સદ્દનસીબે અમારી સાથે જાણીતા કાયદાવિદ્દ સ્વર્ગસ્થ ગિરીશ પટેલ હતા. તેઓ અમારી સાથે હતા, જયાં સુધી તેમની ફી ચુકવવાનો પ્રશ્ન હતો ત્યાં સુધી તો તેમણે ફી લેવાનો પણ ઈન્કાર કર્યો હતો. અમારા આગ્રહને કારણે ગિરીશ પટેલે એવું કહ્યું કે તમારી વ્યવસ્થા પ્રમાણે જે ફી આપવી હોય તો આપજો, અહિંયા ફી ન્યાયની કિંમત છે તેવું હું કહેવા માગતો નથી. દરેક કિંમત પૈસામાં ચુકવવાની હોતી નથી.

મારા અનુભવમાંથી હું શીખ્યો છું કે આપણે ત્યાં પહેલાં તો મોટા ભાગનાં લોકોને અન્યાય થાય છે તેવો અહેસાસ થતો જ નથી. ઉદાહરણરૂપે રસ્તામાં કોઈ પોલીસ કે આસપાસનો કોઈ ગુંડો આપણી સાથે દુર્વ્યવહાર કરે તો સ્વાભાવિક રીતે આપણને માઠું લાગવું જોઈએ, પણ મહદ્ અંશે તેવું થતું નથી, કારણ જેની સાથે ખોટું થયું છે તેમની કિંમત ચુકવવાની તૈયાર નથી, તેનો અર્થ એવો થયો કે ન્યાય તો જોઈએ છીએ પણ ન્યાય માટે બોલવું પડે, લડવું પડે, આકરા અને કડવા થવું પણ પડે તો તેની તૈયારી નથી એટલે ન્યાય ના મળે વાંધો નહીં પણ ન્યાય માટે કોઈની સાથે બાધવુ નથી. સરકારનો દાવો છે અને આપણી પાસે એક નાનકડી વ્યવસ્થા પણ છે કે જેમની વાર્ષિક આવક બે લાખ કરતાં ઓછી છે અને જો તેમને ન્યાય માટે વકીલ રોકવો હોય તો સરકાર તેની વ્યવસ્થા કરે છે, પણ સરકાર મફત વકીલ આપે તેની સાથે ન્યાય મફત મળી જાય છે તેવું પણ નથી. પહેલાં તો જે માણસ એવું સ્વીકારે છે કે પોતાની સાથે અન્યાય થયો છે અને તે અન્યાયના ભાવની સાથે લાચારી-પીડા અને એકલા પડી જવાની લાગણી જન્મે છે ત્યાંથી જ  માણસ કિંમત ચુકવવા લાગે છે.

જયારે કોઈ માણસને એવું લાગે કે અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે તે બહાર નીકળે છે ત્યારે તેની આસપાસનાં જ લોકો રોકે અને ટોકે છે. આપણે નાના માણસ છીએ, આપણે પહોંચી નહીં શકીએ, સત્તા આગળ શાણપણ નકામું વગેરે વગેરે ઉદાહરણ આપી ન્યાયમંદિરમાં જતાં પહેલાં આપણે માનસિક ઉદ્વેગમાં નાખે છે. આખી પ્રક્રિયામાં એકલા પડી જવાની ઘટના પણ કિંમત ચુકવવાનો એક ભાગ છે. આખી લડાઈમાં સગાં સંબંધીઓ અને મિત્રો તમને પાગલ સમજવા લાગે તે પણ રૂપિયામાં ચુકવેલી કિંમત કરતાં વધારે મોંઘું લાગે છે. અહિંયા અન્યાયની જયારે હું વાત કરું છું ત્યારે માત્ર સરકારની વાત નથી. અન્યાય કરનાર પોતાના કોઈ સગા-મિત્ર, આપણે કામ કરીએ છીએ તે સંસ્થા, આપણા શહેર કે ગામનો કોઈ વગદાર માણસ આમ વિવિધ તબક્કે અન્યાય કરનાર કોઈ પણ હોઈ શકે છે, ઘણી વખત ન્યાય માટે પોતાના જ લોકો સામે લડવું પડે ત્યારે તે પીડાની કિંમત વઘારે મોંઘી લાગે છે.

એક વખત લડાઈ શરૂ કરીએ, આપણ ત્યાં ન્યાય પણ તરત મળતો નથી. 2014 માં જયારે હું મારા સાથી પત્રકારો સાથે ગુજરાત હાઈ કોર્ટમાં પક્ષકાર તરીકે પહોંચ્યો ત્યારે ઉદાહરણરૂપે લીસ્ટમાં અમારો ક્રમ 50 માં હોય તો હું અને મારા સાથીઓ સવારથી કોર્ટમાં પહોંચી જતા. અમે રાહ જોતાં બેસી રહેતા કે અમારો ક્રમ કયારે આવશે, સાંજ છ વાગે કોર્ટ બંધ થવાનો હોય ત્યારે 30 ક્રમ ચાલતો હોય, કોર્ટની બહાર નીકળીએ ત્યારે એવી નિરાશા ઘેરી વળે જાણે શરીરમાંથી કોઈએ લોહી ખેંચી લીધું હોય તેમ મન અશક્ત બની જાય, ન્યાય માટે અનેક તારીખો અને મહિનાઓ ભરવા પડે. આ બહુ મોટી કિંમત હોય છે. અમારા વકીલ ગિરીશ પટેલ કહેતા કે તેમને અનેક વખત એવું થયું છે કે તેમનો અસીલ કેસ જીતી જાય  અને આ ખુશીના સમાચાર આપવા ગિરીશ પટેલ ફોન કરે ત્યારે ફોન લેનારી વ્યકિત રીતસર ગિરીશભાઈ ઉપર ભડકે, કારણ ફોન લેનારી વ્યકિત ન્યાયવાંચ્છુનો દીકરો હોય અને કયારેક તો ન્યાય મળશે તેવી ઈચ્છા રાખનારનો સ્વર્ગવાસ થઈ ગયો.

ગિરીશભાઈ કહેતા આપણી ન્યાયની વ્યવસ્થા પ્રમાણે પિતા ન્યાય માટે કોર્ટમાં આવે અને પૌત્રને ન્યાયનો આદેશ મળે છે. આમ આટલાં વર્ષો કોઈ માણસ કોર્ટમાં પસાર કરે ત્યાર પછી પણ આપણે એવું કહીએ કે ન્યાય મફત મળે તો તેમાં કેટલું વજૂદ છે. આપણે ત્યાં બીજો પણ વર્ગ છે કે જે ન્યાય માટે કોર્ટમાં જતો નથી કારણ તેની પાસે કોર્ટમાં જવાની હિંમત અને પૈસા નથી. તે અન્યાય પછી કહે છે કે મારો ભગવાન જોશે એટલે તે કુદરતી ન્યાયની અપેક્ષા રાખે છે, તેને શ્રધ્ધા છે કે ઈશ્વરનો કુદરતી ન્યાય થશે અને તેને અન્યાય કરનારને ઈશ્વર સજા આપશે, પણ પરંતુ ઈશ્વરની કોર્ટમાં કેસોનો ભરાવો થયો છે, કુદરતી ન્યાય તો થાય, પણ તેમાં પણ વર્ષો નીકળી જાય છે. આમ આપણી કોર્ટો તો ઠીક, પણ ઈશ્વર પણ કુદરતી ન્યાય બહુ મોડો કરે છે. આમ કયાં ન્યાય મફત મળતો નથી, કોઈ પૈસા ચુકવે છે, કોઈ સમય તો પીડા અને અનેકો આખી જિંદગી ખર્ચી નાખે છતાં આ વાસ્તવિકતા જાણ્યા પછી જેઓ ન્યાય માટે લડે છે તેમને સલામ તો કરવી જ પડે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top