SURAT

હીરા ઉદ્યોગની જાણીતી પેઢીના સુરત, નવસારી,મોરબી, વાંકાનેર, મુંબઇ સહિત 20 સ્થળોએ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન

સુરત: (Surat) સુરત આવકવેરા વિભાગની (Income tax Department) ઇન્વેસ્ટિગેટિંગ વિંગે આજે સવારે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરતી કંપનીના સુરત, નવસારી સહિત 20 સ્થળોએ સર્ચ ઓપરેશન (Search operation) શરૂ કર્યું હતું. આવકવેરા અધિકારીઓએ કંપનીના સંચાલકોના ઘર અને ઓફિસ અને ચાર કર્મચારીઓના નિવાસ્થાન સહિત 20 સ્થળોએ તપાસ શરૂ કરી છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શેરબજારમાં રોકાણના દસ્તાવેજો અને મોટા પાયે બેનામી જમીન મિલકતો ખરીદવા અને વેચવાના ડોક્યુમેન્ટસ મળી આવ્યાં છે.

વરાછા ખોડિયારનગરમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર આજે તપાસ શરૂ થઇ હોવાની વિગત મળી હતી. સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગના 50 અધિકારીઓની ટીમે સુરત, નવસારી, મોરબી, વાંકાનેર અને મુંબઈમાં સવારે 10 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરી હતી. આ કંપની લાંબા સમયથી ડાયમંડ કટિંગ-પોલિશિંગ અને એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. સુરતમાં કંપનીની ઓફિસ વરાછાના ખોડિયાર નગરમાં છે અને મુંબઈ ઓફિસ ભારત ડાયમંડ બુર્સમાં છે.

આવકવેરા વિભાગ કોરોના પહેલા આ કંપની પર દરોડા પાડવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ કોરોનાને કારણે તેમાં વિલંબ થયો હતો. વિભાગ પાસે કંપનીના તમામ કાળા કારોબારની માહિતી હતી. જે મુજબ વિભાગે સંપૂર્ણ તૈયારી સાથે કાર્યવાહી કરી હતી. કંપનીના ચાર કર્મચારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, તેમને ત્યાંથી વિભાગે હાર્ડ ડિસ્ક અને મોટા પાયે દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. કંપની સંચાલકો તેમના કર્મચારીઓ ખાતા સંબંધિત ઓનલાઇન કામ કરતાં હતાં. આ તમામ માહિતી વિભાગ પાસે પહેલેથી જ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ડાયમંડ વર્કર્સ યુનિયને શ્રમ વિભાગમાં કંપનીના સંચાલકો સામે લાયસન્સ વગર યુનિટ ચલાવવા બદલ આક્ષેપ કર્યો હતો.લેબર કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો હતો.

સુરતના બિલ્ડર ગ્રુપની 2500 કરોડની બેનામી આવકના પ્રકરણમાં ફરી તપાસ
સુરત: સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગે કોરોના પહેલા શહેરના એક બિલ્ડર જૂથ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં વિભાગે ગ્રુપ સાથે સંકળાયેલા 15 થી વધુ લોકોના ઘર અને ઓફિસોની તપાસ કરી હતી. તેમાં જમીન, મકાન, શેરબજારમાં રોકાણ, નકલી લોન અને બેનામી મિલકત ખરીદવાના દસ્તાવેજો કબજે લીધાં હતાં. કોરોનાને કારણે લાંબા સમય સુધી તપાસ અટકાવ્યા બાદ, વિભાગે ફરી એકવાર તપાસ ઝડપી બનાવી છે. આવકવેરા વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવેલા રિપોર્ટમાં ગ્રુપની 2500 કરોડ રૂપિયાની અઘોષિત આવક જણાવવામાં આવી છે. હવે આવકવેરા વિભાગે આપ્રકરણમાં કર વસૂલાત સહિત અન્ય કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top