SURAT

આ રીતે સુરત બનશે ‘સાયબર સેફ સિટી’, ચેમ્બરમાં વેપારીઓને પોલીસે સમજાવ્યો પ્લાન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા ખાતે ‘સાયબર અવેરનેસ’ (Cyber Awarness) વિશે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર પોલીસ(SuratCityPolice) , સાયબર ક્રાઇમ (CyberCrime) સેલના મદદનીશ પોલીસ કમિશ્નર યુવરાજસિંહ ગોહિલે વેપારીઓ–ઉદ્યોગકારો અને નાગરિકોને સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

મદદનીશ પોલિસ કમિશ્નર યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સાયબર સુરક્ષા સેતુના સહયોગથી ઓનલાઇન સલામતી અને ડિજીટલ વેલનેસ માટે ‘સાયબર સંજીવની’ નામથી એક પહેલ કરવામાં આવી છે.

દરમ્યાન ગત મહિને તા. 30 જુલાઇ 2023ના રોજ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ‘સાયબર સંજીવની– ર’નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિડિયો તથા શેરી નાટકોથી શહેરીજનોમાં અવેરનેસ લાવવા પ્રયાસ થઇ રહ્યો છે. પોલીસે આઠ જેટલા વિડિયો બનાવ્યા છે, જેમાં સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોની છ મોડસ ઓપરેન્ડી કવર કરવામાં આવી છે.

એસીપી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં સાયબર ક્રાઇમના પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓમાંથી ૯૦ ટકા ગુનાઓને પોલીસે ડિટેકટ કર્યા છે. ગત વર્ષે પોલીસે રૂપિયા ૧૦ કરોડ રૂપિયા રિફંડ કર્યા હતા. તેમણે કહ્યું કે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને કલીન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવાનો નિર્ધાર પોલીસે લીધો છે. સુરત શહેર પોલિસ સાયબર ક્રાઇમના પ્રિવેન્શન માટે કામ કરી રહી છે તેમ કહી તેમણે વેપારી–ઉદ્યોગકારોને સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે મહત્વની ટિપ્સ આપી હતી.

શેરી નાટક દ્વારા સાયબર ક્રાઈમ સેલે વેપારીઓને ટીપ્સ આપી
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા 50મી વખત શેરી નાટક ભજવાયું હતું. જેમાં ગુનેગારો દ્વારા કેવી રીતે સાયબર ક્રાઇમના ગુનાઓને અંજામ આપવામાં આવે છે અને લોકો તથા યુવતીઓને ફસાવી તેઓના જીવન સાથે ચેડાં કરવામાં આવે છે તે દર્શાવી લોકોએ આવા ગુનેગારોથી કેવી રીતે બચવું તે દર્શાવવામાં આવ્યું હતું. સેશનમાં ઉપસ્થિત વેપારી – ઉદ્યોગકારોએ નાટક ભજવનારા કલાકારોની આખી ટીમ તથા સુરત શહેર પોલિસના સાયબર ક્રાઇમ સેલના પ્રયાસોને તાળીઓથી વધાવી લીધા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, ચેમ્બરની પબ્લીક રિલેશન્સ કમિટીના કો–ચેરપર્સન ગુંજન પટેલ તથા વેપારી – ઉદ્યોગકારો સેશનમાં ઉપસ્થિત રહયા હતા. માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે એસીપી યુવરાજસિંહ ગોહિલનો પરિચય આપ્યો હતો. ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ડો. આભા ગોયાણીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું.

Most Popular

To Top