Dakshin Gujarat

દમણમાં પતિએ પત્નીની બેરહેમીપૂર્વક હત્યા કરી લાશ ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી

દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) એક દારૂડિયા પતિએ (Husband) પોતાની પત્નીને (Wife) બેરહમીપૂર્વક માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 9 મે ના રોજ રાત્રે 1-30 કલાકે કડૈયા પોલીસ મથકે ફરિયાદી મહિલાએ આવી જણાવ્યું કે, તેની 38 વર્ષીય બહેન સુનિતા રમાજીત ઉર્ફે રંજીત યાદવ ડોરી કડૈયા નાની દમણના ઈંટેક ઓર્કેમ પ્રા.લિ. કંપનીના ક્વાર્ટરમાં રહે છે. તેના પતિ રમાજીત યાદવે મારી નાખી છે.

આ પ્રમાણેની જાણ થતા પોલીસની એક ટીમ મોડી રાત્રે ઉપરોક્ત જગ્યા પર તપાસ અર્થે ગઈ હતી. જ્યાં કંપની નજીકની એક દિવાલ પાસેની ઝાડી ઝાંખરામાં એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલી જોવા મળી હતી. પોલીસે મહિલાને સારવાર અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરએ મહિલાને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે મૃતક મહિલાના દિકરા-દિકરીના નિવેદન લેતા જાણવા મળ્યું કે, 8 મે રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ દારૂના નશામાં તેના પિતા રમાજીત અને માતા સુનિતા વચ્ચે ઝગડો થયો હતો. ત્યારબાદ રાત્રે 11-15 કલાકે માતા-પિતા રોજની જેમ બહાર ફરવા અર્થે ગયા હતા. જે બાદ લાંબો સમય વીતી જવા છતાં માતા સુનિતા નહીં આવતા ઇન્ટેક કંપની પાસે તપાસ કરતા તે ઝાડી ઝાંખરામાં ઈજાગ્રસ્ત જોવા મળી હતી. હાલ તો પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વિજલપોરની સગીરાને સુરતનો યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો
નવસારી : વિજલપોરની સગીરાને સુરતનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, વિજલપોરમાં રહેતી સગીરા ગત 8મીએ તેના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. દરમિયાન સગીરા મોડે સુધી ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તેમણે સગીરાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સગીરાનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સગીરાના પરિવારજનોને જાણવા મળ્યું હતું કે, નવસારી ફાતિમા એપાર્ટમેન્ટ પાસેથી સુરત ભટાર ચાર રસ્તા પાસે આઝાદનગરમાં રહેતા સાગર થોરાટ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો છે. આ બાબતે સગીરાની માતાએ નવસારી ટાઉન પોલીસ મથકે સાગર થોરાટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. શિલ્પાબેન દેસાઈએ હાથ ધરી છે.

Most Popular

To Top