Dakshin Gujarat

ડુંગરડા આશ્રમ શાળાનાં 105 બાળકોને ઝાડા, ઉલટી અને તાવ

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલી ડુંગરડા આશ્રમ શાળાનાં હાજર 182માંથી 105 જેટલા બાળકોને સવારે 6 વાગ્યાનાં અરસામાં અચાનક ઝાડા-ઉલટી અને તાવનાં લક્ષણો જણાતા આશ્રમશાળાનાં સ્ટાફ (Staff) દ્વારા આ તમામ બાળકોને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે નજીકની વઘઇ સી.એચ.સીમાં ખસેડાયા હતા.

  • 52 બાળકો સારવાર હેઠળ રખાયા
  • 53 બાળકો એકદમ સ્વસ્થ જણાતા વાલીઓ પ્રાથમિક સારવાર મેળવી ઘરે લઈ ગયા

આ બનાવની જાણ સંચાલક મંડળને તથા આશ્રમશાળા અધિકારી વલસાડ (Valsad) તેમજ વાલીઓને થતા તેઓ પણ આશ્રમશાળા સહિત વઘઇ સી.એચ.સીમાં દોડી ગયા હતા અને બાળકોને મળી સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. અહીં 53 બાળકો એકદમ સ્વસ્થ જણાતા વાલીઓ પ્રાથમિક સારવાર મેળવી ઘરે લઈ ગયા હતા. જ્યારે 52 બાળકો સારવાર હેઠળ રખાયા હતા.

બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની સંભાવના: ડોક્ટર
આ બાબતે વઘઇ સી.એચ.સીનાં ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. તેજલનાં જણાવ્યા મુજબ વઘઇ નજીકનાં ડુંગરડા આશ્રમ શાળાનાં 105 જેટલા બાળકોને ઝાડા, ઉલટી, પેટમાં દુઃખવુ અને તાવ જેવા લક્ષણો દેખાતા આશ્રમશાળાનાં સંચાલકો અને સ્ટાફ દ્વારા વઘઇ સી.એચ.સીમાં ખસેડયા હતા. આ તમામ બાળકો ઝાડા-ઉલટી અને તાવથી સંક્રમિત થયા હતા .દાખલ કરાયેલા બાળકોને પૂછતા તેઓએ જણાવ્યું હંતુ કે ગતરોજ સાંજે ભોજનમાં ખીચડી અને અડદની દાળ આરોગી હતી. જેથી ફૂડ પોઇઝનિંગની અસર લાગી રહી છે.

ઘટનાની તપાસ ચાલી રહી છે: આશ્રમશાળા સંચાલક
જ્યારે આ બાબતે આશ્રમશાળા સંચાલક જાનાભાઈ ગાયકવાડે જણાવ્યું હતું ડુંગરડા આશ્રમશાળાનાં બાળકોને સાંજે રોટલી અને દાળ અપાઈ હતી. જ્યારે શુક્રવારે સવારે દાળ, ભાત, શાક અપાયું હતુ. સાંજે અને સવારની રસોઈ રસોયાઓ દ્વારા તાજી બનાવીને પીરસવામાં આવી હતી અને રસોયાએ પણ આ ખોરાક ખાધો હતો. ડુંગરડા આશ્રમશાળાનાં એકપણ બાળકને અમારા દ્વારા વાસી ખોરાક પીરસવામાં આવ્યો નથી. આ ઘટના કઈ રીતે બની છે જેની તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top