Dakshin Gujarat

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદને પગલે ડાંગરના પાકને વ્યાપક નુકસાન

અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટ (Hasot) પંથકમાં વરસાદના (Rain) કારણે ડાંગરના ઊભા પાકને (Crop) વ્યાપક નુકસાન થયું છે. ત્રણ દિવસ વરસેલા વરસાદના પગલે ડાંગરનો ઊભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. ડાંગરની કાપણી કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતો (Farmar) માટે પડતા પર પાટુસમાન બની ગયું છે.અંકલેશ્વર અને ખાસ કરીને હાંસોટ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો ડાંગરની વાવણી કરે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગરના પાકનું વાવેતર વધુ થાય છે. ત્યારે ચાલુ વર્ષે ખેતરમાં લહેરાતા ડાંગરના પાકને જોઈ ખેડૂતોએ મબલક પાક થશે તેવી આશા સેવી હતી, અને ડાંગરના પાકની કાપણી કરવાની તૈયારી કરી રહ્યા હતા. દરમિયાન વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને બંને તાલુકામાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા વરસાદ અને વરસાદી વાયરાને લઇ ડાંગરનો કાપણીલાયક પાક જમીનદોસ્ત થઇ ગયો છે.

ખેતરોમાં પાણીનો પણ ભરાવો થયો છે. અને ખેડૂતો માટે પડતા પર પાટુ પડ્યું છે. અંકલેશ્વર તાલુકાના અડોલ, હજાત, મોટવાણ, પીલુદ્રા, તેલવા, સહિતનાં ૫૯ ગામડાંમાં વ્યાપક પ્રમાણમાં ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ડાંગરનો મબલક પાક થશે તેવી ખેડૂતોની આશા પર પાણી ફરવાની સાથે નુકસાનને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઓલપાડની કાંઠા સુગરમાં ચાલુ સિઝનમાં ૪.૨૫ લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક
દેલાડ: ઓલપાડ સહિત આઠ તાલુકાના શેર વંચિત ખેડૂતોની જીવાદોરીસમાન સરસ ગામની કાંઠા સુગર ફેક્ટરીએ સને-૨૦૨૨-૨૦૨૩ના નવા વર્ષમાં શેરડી પિલાણ શરૂ કરવા બોઇલર પ્રજ્વલિત કરતા સુગરના ચેરમેન કિરીટ પટેલે ચાલુ શેરડી પિલાણ સિઝનમાં ૪.૨૫ લાખથી વધુ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.

૪.૨૫ લાખ મે.ટનથી વધુ શેરડી પિલાણનો લક્ષ્યાંક સિદ્ધ કરશે
ઓલપાડ તાલુકાના સરસ ગામે કાર્યરત કાંઠા સુગર ફેક્ટરીના સભાસદો, ગ્રામ પ્રતિનિધિઓ તથા કામદારોની ઉપસ્થિતિમાં સુગરના ચેરમેન, જિલ્લાના સહકારી અગ્રણી અને ઓલપાડ તાલુકાના માજી ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ સુગરના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ પંડ્યાના હસ્તે મશીનરી બોઇલરની પૂજનવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુગરના ચેરમેન કિરીટ પટેલે બોઇલર પ્રજ્વલિત કરતા જણાવ્યું કે, સુગર પાસે ચાલુ પિલાણ સિઝનમાં શેરડી લામ ૪,૨૮૭ એકર અને નવું રોપાણ ૬,૫૯૦ મળી કુલ ૧૦,૮૭૭ એકર શેરડીનું વાવેતર ઊભું છે. જ્યારે સુગર બીન સભાસદોની શેરડીનો પુરવઠો બહારથી વાહુતક કરતી હોવાથી ચાલુ વર્ષે સુગર મિલ ૪.૨૫ લાખ મે.ટનથી વધુ શેરડી પિલાણનો લક્ષ્યાંક સિદ્ધ કરશે.

Most Popular

To Top