Gujarat

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો

ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની (BJP) નેતાગીરીએ હવે ઓપરેશન લોટસ ફરીથી સક્રિય કરી દીધુ છે. જેના પગલે આજે જૂનાગઢના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, અન્ય પૂર્વ ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના સભ્યો સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો આજે કમલમ ખાયો યોજાયેલા વિશાળ સંમેલનમાં ભાજપમાં જોડાઈ ગયા હતાં.

  • પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો
  • આજે ખંભાતમાં પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે કમલમ ખાતે યોજાયેલા સમારંભમાં ભાયાણી સહિતના કાર્યકરોને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો. આવતીકાલે ખંભાતમા યોજાનારા સમારંભમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પ્રદેશ અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાનાર છે. જયારે આણંદના બોરસદમાં યોજાનાર વિશાળ સંમેલનમાં કોંગીના 2500 કાર્યકરો, સરપંચો સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાઇ જશે. હજુ વિજાપુરના કોંગીના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા પણ ભાજપમાં જોડાનાર છે. લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીમા આ પૂર્વ કોંગી ધારાસભ્યો ભાજપની ટિકીટ પર ચૂંટણી લડશે.

સી.આર.પાટીલે સમારંભને સંબોધતા કહ્યું હતું કે , ‘આજે આપ સૌ ભાજપમાં જોડાયા છો તેના પગલે ભાજપની શક્તિ વધવાની છે. કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે, જેને ચૂંટણીમાં આપેલા વચનોને પૂરા કરવાની ક્યારેય ચિંતા નથી પરંતુ, ભારતીય જનતા પાર્ટીએ તેની સ્થાપનાથી જેટલા વચનો આપ્યા તે તમામ વચનો પૂરા કરીને પીએમ નરેન્દ્ર મોદીએ એક વિશ્વાસ ઊભો કર્યો છે. મુશ્કેલ કાર્યો પીએમ મોદીએ સૌને સાથે રાખીને પૂર્ણ કર્યા છે. સંસદમાં પીએમ મોદીને કેટલાંક લોકો ધમકીઓ આપતાં હતા કે, ‘કલમ 370 કો હાથ લગાઓગે તો જલ જાઓગે’ પરંતુ ડંકાની ચોટ પર 370 ની કલમ હટી ગઈ અને લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે. જો કે, એક કાંકરી પણ ના ઊડી. આ તાકાત દેશને વડાપ્રધાન મોદીએ આપી છે. આપણે રામમંદિરની કલ્પના કરતાં હતા. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પોતાના ચૂંટણી વચનમાં હંમેશા કહેતી કે ‘રામ મંદિર વહી બનાયેંગે’ અને કોંગ્રેસ કહેતી કે ‘તારીખ નહીં બતાયેંગે’ પરંતુ આજે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામલલ્લા પોતાના સ્થાન પર બિરાજમાન છે. આજે દેશના પ્રજાજનો દર્શન માટે ઉત્સુક છે અને દેશવાસીઓ માટે ટ્રેનો દોડાવાઈ રહી છે. આખો દેશ આજે રામમય બન્યો છે.

તેમણે કહ્યું હતું કે, આપણે ગુજરાતમાં પહેલા પણ 26 માંથી 26 લોકસભા સીટો જીત્યા છીએ આ વખતે હેટ્રિક કરવા જઈ રહ્યા છીએ. પીએમ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આપણે પણ ગુજરાતમાં હેટ્રિક કરવી છે. આ વખતે બધી જ સીટો 05 લાખની વધુ લીડથી જીતીએ અને દેશ તેમજ ગુજરાતને મજબૂત કરીએ અને આ વિસ્તારને પણ મજબૂત કરીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નિશ્વાર્થ ભાવે કામ કરવા માટે ટેવાયેલો છે. આજે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમને વિનંતી કે જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જજો.

Most Popular

To Top