Gujarat

4 હેક્ટર સુધીના વિસ્તારમાં જાહેર હરાજી વગર પ્રીમીયમથી લીઝની ફાળવણી કરાશે

ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાત (Gujarat) ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે. આ નવા સુધારાઓ તથા સરળીકરણ મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને ૪ હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનીજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે, એટલું જ નહીં, જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી., એન્વાયરમેન્ટ ક્લીયરન્સ, ફોરેસ્ટ ક્લીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહીં.

સીએમ ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય પણ આ નિયમોમાં સુધારા અન્વયે કર્યો છે કે, પડતર ‘સેવ્ડ’ કેસોની મંજૂરી માટેની સમયમર્યાદા જે ર૦રરમાં પૂર્ણ થતી હતી તે વધુ ત્રણ વર્ષ એટલે કે ર૦રપ સુધી વધારી આપવામાં આવી છે. અન્ય બીજા સુધારા મુજબ બાકી લેણાના વ્યાજના દરોમાં ૬ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ ૧૮ ટકા છે તે ઘટાડીને હવે ૧ર ટકાનો વ્યાજ દર કરવામાં આવ્યો છે.

ખાણકામના નિયમોમાં જે અન્ય સુધારાઓ કરવામાં આવ્યા છે તે મુજબ જાહેર હરાજીથી પ્રથમ તબક્કામાં ભાગ લીધો હોય તેવા બિડર્સમાંથી ટેક્નિકલી ક્વોલિફાઇડ તમામ બિડર્સ બીજા તબક્કામાં ભાગ લઇ શકશે. આ ઉપરાંત આર્થિક બોજો વધે નહીં એ હેતુસર બિડરને ત્રણ તબક્કામાં અપફ્રન્ટ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. સરકારે એવો સુધારો પણ આ નિયમોમાં કર્યો છે કે, ખનીજ જથ્થો પૂર્ણ થઇ જાય અથવા વૈજ્ઞાનિક ઢબે ખાણકામ થઇ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં લીઝધારક આવો લીઝ વિસ્તાર પરત કરી શકશે.

Most Popular

To Top