National

અધવચ્ચે જ ભારત જોડો યાત્રા છોડી દેવા માંગતા હતા રાહુલ ગાંધી ? કેસી વેણુગોપાલે હકીકત જણાવી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તાજેતરમાં જ તેમની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) પૂર્ણ કરી છે. પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યાત્રાના શરૂઆત બાદ જ યાત્રાને અધવચ્ચે છોડી દેવા માંગતા હતા. આટલું જ નહીં, રાહુલ ગાંધી એ પણ વિચારી રહ્યા હતા કે શું તેમણે આ યાત્રા પૂર્ણ કરવાની જવાબદારી કોઈ બીજાને સોંપવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે KPCC મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાના થોડા દિવસો બાદ જ રાહુલ ગાંધી આ યાત્રા છોડી દેવા માંગતા હતા. તેમજ તેમણે આ યાત્રાની જવાબદારી કોઈ બીજાને સોંપવાનો વિચાર કર્યો હતો. તેમણે આ અંગે આગળ જણાવ્યું કે ભારત જોડો યાત્રાના શરૂઆતના દિવસોમાં રાહુલ ગાંધીને ઘૂંટણની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને વિચારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા કે શું તેમને આ યાત્રાની કમાન કોઈ બીજા નેતાને સોંપી દેવી જોઈએ.

વેણુગોપાલે કહ્યું કે આ ખૂબ જ નાજુક સ્થિતિ હતી. કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીની વેદના જોઈને તેમને પ્રિયંકા ગાંધીને કહેવાની ફરજ પડી કે તેમના ભાઈ ભારે પીડાને કારણે આ પદયાત્રા છોડી રહ્યા છે અને યાત્રાની કમાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સોંપી શકે છે.

કે.સી. વેણુગોપાલે કેરળના ભારત જોડો યાત્રીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કન્યાકુમારીથી યાત્રા શરૂ થયાના ત્રીજા દિવસે જ્યારે યાત્રા કેરળમાં પ્રવેશી રહી હતી ત્યારે રાહુલ ગાંધીના ઘૂંટણનો દુખાવો વધી ગયો હતો. એક રાત્રે, રાહુલ ગાંધીએ મને તેના ઘૂંટણની પીડા વિશે જણાવ્યું હતું. ઘૂંટણની સમસ્યાના કારણે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેમની જગ્યાએ આ યાત્રાની જવાબદારી અન્ય કોઈએ લેવી જોઈએ, પરંતુ યાત્રા બંધ ન થવી જોઈએ આ યાત્રા પૂર થવી જોઈએ.

તામિલનાડુમાં કન્યાકુમારીથી શરૂ થયેલી 7 સપ્ટેમ્બર, 2022 ના રોજ કેરળમાં યાત્રાના પ્રવેશ દરમિયાન બનેલી ઘટનાઓના ક્રમનો ઉલ્લેખ કરતા, કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી વિનાની યાત્રા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માટે અકલ્પનીય હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવે કહ્યું કે ત્યાર બાદ પ્રિયંકા ગાંધીએ ફોન કરીને રાહુલ ગાંધીના ઘૂંટણના દુખાવાની ગંભીરતા વિશે જણાવ્યુ હતું.

તેમણે ભારત જોડો યાત્રા અન્ય વરિષ્ઠ નેતાઓને સોંપવાનું સૂચન કરવાનું પણ વિચાર્યું હતું. તેમણે આ અંગે સૂચનો પણ આપવા જણાવ્યું હતું. જો કે ત્યાર બાદ રાહુલ ગાંધીના ફિઝિયોથેરાપિસ્ટ મેડિકલ ટીમમાં જોડાયા અને તેમની સારવાર કરી હતી. વેણુગોપાલે સમારોહમાં કહ્યું કે ભગવાનની દયાથી હવે તેમની પીડા ઓછી થઈ ગઈ છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા 10 સપ્ટેમ્બરે કેરળમાં પ્રવેશી હતી અને રાજ્યમાં 19 દિવસ સુધી પ્રવાસ કર્યો હતો. જ્યારે કાશ્મીરમાં 30 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રાનું સમાપન થયું હતું.

Most Popular

To Top