National

રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ કાટમાળ કાર પર પડતા કેદારનાથ જઈ રહેલા 5નાં મોત, 4 મૃતકો ગુજરાતનાં

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ એક કાર (Car) કાટમાળ નીચે દબાઈ ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત (Death) થયા હતા. પોલીસે (Police) અકસ્માત વિશે જણાવ્યું કે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ચોકી ફાટા હેઠળ તરસાલી ખાતે ભૂસ્ખલનના કાટમાળ નીચે કાર દબાઈ જતાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વાહનમાં બેઠેલા શ્રદ્ધાળુઓ ગુરુવારે સાંજે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે ભૂસ્ખલન થયું અને કાટમાળ વાહન પર પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 4 મૃતકો ગુજરાતનાં રહેવાસીઓ હતાં.

હાઇવેનો 60 મીટરનો હિસ્સો ધરાશાયી થયો હતો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “તરસાલીમાં પહાડીમાંથી પથ્થરો સાથે પડેલા ભારે કાટમાળને કારણે કેદારનાથ-ગયા હાઈવેનો 60 મીટરનો હિસ્સો તૂટી પડ્યો હતો. આ દરમિયાન અહીં એક વાહન કાટમાળ નીચે દટાઈ ગયું હતું. શુક્રવારે આ વાહનમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં 4 લોકો ગુજરાતનાં હોય તેવું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.” અધિકારીઓએ એ પણ માહિતી આપી કે આ ઘટનાને કારણે શુક્રવારે કેદારનાથ ધામ તરફ જતા ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. તેમણે કહ્યું કે લગભગ 60 મીટર રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને ધોવાઈ ગયો છે.

ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ માટે ‘રેડ’ એલર્ટ
રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારો (ચોકી જાવડી, કોતવાલી રુદ્રપ્રયાગ, ચોકી તિલવાડા, થાણા અગસ્ત્યમુની, કાકડાગડ)ના પોલીસ સ્ટેશનવાળા વિસ્તારોથી લોકો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રુદ્રપ્રયાગ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ‘રેડ’ એલર્ટ અને ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું છે.

Most Popular

To Top