India

બંગાળના બીજા તબક્કાના મતદાનમાં વિવાદોનું વાવાઝોડું, EVMમાં ભાજપના બટન પર સેલોટેપ લાગતા વિવાદ વર્ક્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે ભારે ઉત્સાહ સાથે સાથે તણાવભર્યા માહોલમાં ચાલી રહ્યું છે. અનેક વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ સાથે જ હિંસા, ગડબડ અને EVM અંગેના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી આમને-સામને હોવાથી રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે. મતદાન દરમિયાન સૌથી મોટો વિવાદ EVM મશીનોને લઈને સામે આવ્યો છે. ભાજપના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો છે કે અનેક મતદાન મથકોમાં EVM પર ભાજપના બટન પર ટેપ ચોંટાડવામાં આવી છે. આ કારણે મતદારો પોતાની પસંદગી મુજબ મત આપી શકતા નથી એવી ફરિયાદ કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડાએ દાવો કર્યો કે તેમના વિસ્તારના કેટલાક બૂથ પર તેમના પક્ષના બટનને ઇરાદાપૂર્વક અવરોધિત કરવામાં આવ્યું છે.

ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં EVMના બટનો પર ટેપ જોવા મળે છે. તેમણે આને ડાયમંડ હાર્બર મોડેલ કહીને આક્ષેપ કર્યો કે ઘણી જગ્યાએ મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે. તેમણે કેટલાક ચોક્કસ બૂથ નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. બીજી તરફ ભવાનીપુરમાં તણાવ ત્યારે વધ્યો જ્યારે મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી એક જ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી મોટી સંખ્યામાં લોકો સાથે આવીને મતદારો પર દબાણ બનાવી રહ્યા છે. કેટલાક સ્થાનિક મતદારો દ્વારા પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો કે બહારથી લોકોને લાવીને વાતાવરણ પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો છે.

મતદાન દરમિયાન હિંસાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. નદિયા જિલ્લાના ચાપડા વિસ્તારમાં ભાજપના એક પોલિંગ એજન્ટ પર હુમલો થયો હતો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી છે. ભાજપે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ કેટલાક મતદાન મથકો પર EVM મશીનોમાં ટેક્નિકલ ખામીઓની ફરિયાદ પણ નોંધાઈ છે, જેના કારણે મતદાન મોડું શરૂ થયું અને મતદારોમાં અસંતોષ જોવા મળ્યો. રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બંગાળમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે અને હવે ફક્ત યુદ્ધજહાજો મોકલવાનું જ બાકી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે લાખો મતદારોને મતદાનથી રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમ છતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની પાર્ટી ફરીથી સત્તામાં આવશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ચૂંટણી પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે બહારથી લાવવામાં આવેલા અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે અને ચૂંટણીમાં સમાનતા જળવાઈ નથી. તેમણે આ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે લોકશાહી પ્રક્રિયામાં આ પ્રકારની પરિસ્થિતિ યોગ્ય છે કે નહીં. આ રીતે બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ઉત્સાહ અને તણાવ બંને વચ્ચે આગળ વધી રહ્યું છે. એક તરફ મતદારોનો ઉત્સાહ જોવા મળે છે, તો બીજી તરફ વિવાદો અને હિંસાના કારણે ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. હવે બધા જ લોકોનું ધ્યાન પરિણામો પર છે, જે 4 મેના રોજ જાહેર થશે.

Most Popular

To Top