National

BSP પ્રમુખ માયાવતીએ ઉત્તરાધિકારીનું નામ કર્યું જાહેર, જાણો કોણ છે નેતા?

લખનઉ: બસપાના (BSP) વડા માયાવતીએ (Mayavati) પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. રવિવારે યોજાયેલી બેઠકમાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને (Akash Anand) તેમના અનુગામી તરીકે જાહેર કર્યા હતા. માયાવતીની ગેરહાજરીમાં હવે આકાશ આનંદ BSPની કમાન સંભાળશે. થોડા મહિના પહેલા જ માયાવતીએ આકાશ આનંદને BSPનો રાષ્ટ્રીય સંયોજક બનાવ્યો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી ચૂંટણીમાં BSP દ્વારા આકાશને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આકાશ આનંદે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક ચૂંટણી રેલીઓ યોજી હતી.

બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતા ઉદયવીર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે માયાવતીએ આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો છે. ઉદયવીર સિંહે જણાવ્યું કે પાર્ટી નેતાઓની બેઠકમાં માયાવતીએ કહ્યું કે તેમની ગેરહાજરીમાં આકાશ આનંદ BSPની કમાન સંભાળશે. જે રાજ્યોમાં BSPનું સંગઠન નબળું છે ત્યાં પણ આકાશ આનંદ પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે.

ઉદયવીર સિંહે કહ્યું કે માયાવતીએ પાર્ટી નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે દરેકે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પાર્ટી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. માયાવતીએ કહ્યું કે ગઠબંધનથી પાર્ટીને નુકસાન થાય છે.

આકાશ આનંદ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર છે. તેણે લંડનથી MBA નો અભ્યાસ કર્યો છે. તેઓ પહેલીવાર માયાવતી સાથે 2017માં સહારનપુરમાં બસપાની રેલીમાં જોવા મળ્યા હતા. BSPમાં આકાશની ગતિવિધિ છેલ્લા 6 વર્ષમાં વધી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે BSPના સ્ટાર પ્રચારકોની યાદીમાં આકાશ આનંદનું નામ બીજા સ્થાને હતું. આકાશ આનંદને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીના સંગઠનની પુનઃરચના કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેથી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી કેડર તૈયાર કરી શકાય.

વાસ્તવમાં બહુજન સમાજ પાર્ટી ફરી એકવાર પોતાનો ખોવાયેલો આધાર પાછી મેળવવા માટે નવી યોજનાઓ બનાવી રહી છે. નવી યોજનાઓમાં વિવિધ ફેરફારો કરવા તેમજ પક્ષમાં નિષ્ક્રિય બની ગયેલા નેતાઓની બદલી કરવાનો મુખ્ય આદેશ જારી કરવામાં આવ્યો છે. બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ઘણા નેતાઓ પાર્ટીની નીતિઓ અને બાબા સાહેબના મિશનને તળિયે લઈ જવામાં નિષ્ફળ રહ્યા છે.

Most Popular

To Top