ગાંધીનગર,
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર નોંધાવાની શક્યતા છે. રાજ્યસભામાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે ખતમ થવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આવનાર 21 જૂનના રોજ કોંગ્રેસના છેલ્લાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થતાં, ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું એકપણ પ્રતિનિધિત્વ નહીં રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે.હાલમાં રાજ્યસભામાંથી ભાજપના નરહરી અમીન, રામ મોકરીયા અને રમીલાબેન બારાની પણ મુદત પૂર્ણ થઈ રહી છે.આ ચારેય સભ્યોની મુદત 21 જૂન સુધી છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથી. પરિણામે, કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઉભો કરી શકશે નહીં. આ પરિસ્થિતિમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતે તેવી શક્યતા મજબૂત બની રહી છે.ગુજરાત રાજ્યની સ્થાપના પછી પહેલીવાર એવું બનશે કે રાજ્યસભામાં કોંગ્રેસનું એકપણ પ્રતિનિધિત્વ નહીં રહે. છેલ્લા કેટલાક વર્ષોથી “કોંગ્રેસમુક્ત ભારત”ની ચર્ચાઓ વચ્ચે આ ઘટના રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી થવાની છે. જીત માટે 144 મતની જરૂર પડે છે, જ્યારે ભાજપ પાસે 162 ધારાસભ્યો છે. તેથી ભાજપ માટે તમામ બેઠકો જીતવું સરળ ગણિત બની રહ્યું છે. વિધાનસભામાં કુલ 182 સભ્યોમાંથી ભાજપ પાસે બહુમતી સ્પષ્ટ છે.ભારતીય બંધારણ મુજબ રાજ્યસભામાં કુલ 250 સભ્યો હોય છે, જેમાંથી ગુજરાતના 11 સભ્યો રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી અને દર બે વર્ષે લગભગ એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. દરેક સાંસદની મુદત 6 વર્ષની હોય છે.
ભારતીય બંધારણ મુજબ રાજ્યસભાનું માળખું અત્યંત મજબૂત અને સ્થાયી છે, જેનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના તમામ સભ્યોની ચૂંટણી પણ એકસાથે યોજાતી નથી. રાજ્યસભામાં કુલ 250 સભ્યો હોય છે, જેમાં ગુજરાતના 11 સભ્યો રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ સદનની વિશિષ્ટતા એ છે કે તેના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે અને દર 2 વર્ષે 1/3 ભાગના સાંસદો નિવૃત થતા તેમની ચૂંટણી યોજવામાં આવે છે. આ સંસદીય પરંપરામાં અનેક દિગ્ગજ નેતાઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં અરુણ જેટલી વર્ષ 2000 થી 2018 સુધી સતત ત્રણ ટર્મ માટે સાંસદ રહ્યા હતા. તેવી જ રીતે, પુરૂષોત્તમ રૂપાલાએ 2008 થી 2024 (વચ્ચેના ગાળા બાદ) અને મનસુખ માંડવિયાએ 2012 થી 2024 સુધી ગુજરાતના અવાજ તરીકે સેવા આપી છે. સ્મૃતિ ઈરાની (2011-2019), અનંત દવે અને ગોપાલસિંહ સોલંકી (1990-2002) જેવા નેતાઓ પણ લાંબો સમય રાજ્યસભામાં રહ્યા છે.