Dakshin Gujarat

દિલ્હી-મુંબઈ હાઈવે માટે જમીન સંપાદન સામે નર્મદાના ખેડૂતોનો વિરોધ, ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં

રાજપીપળા: (Rajpipla) દિલ્હી-મુંબઈ 4 લેન રોડ માટે શામળાજીથી વાપી સુધી 4 લેન રોડ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. શામળાજીથી હાલોલ સુધીનો 4 લેન રોડ હાલમાં બનીને તૈયાર પડ્યો છે. હવે વાપી સુધીનો રોડ (Road) નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાંથી થઈને આગળ જશે. એ માટે દિલ્હી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે (Highway) પરનાં વિવિધ ગામોની જમીન સંપાદન (Land Acquisition) માટે વાંધા અરજી રજૂ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

  • દિલ્હી-મુંબઈ હાઈવે માટે જમીન સંપાદન સામે નર્મદાના ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનનાં એંધાણ
  • તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે પરનાં વિવિધ ગામોની જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ

બીજી બાજુ તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે પરનાં વિવિધ ગામોએ ગ્રામસંભા યોજી દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે જમીન સંપાદનનો વિરોધ કરતા સરકારી તંત્ર અવઢવમાં મુકાયું છે. હાલમાં જ નાંદોદ તાલુકાના વાવડી ગ્રામ પંચાયતે ગ્રામસભા યોજી જમીન સંપાદનનો વિરોધ કર્યો છે. અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ તો બની ગયો, પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતોને જમીન સંપાદનનુ વડતર હજુ સુધી મળ્યું નથી. બીજી બાજુ અંકલેશ્વરથી રાજપીપળા સુધી બ્રોડગેજ રેલવે લાઈન માટે સરકારે કરેલી જમીન સંપાદનનું વળતર પણ હજુ સુધી ખેડૂતોને મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સરકારની આવી નીતિને લીધે જ દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે જમીન સંપાદનનો નર્મદા જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના આદિવાસીઓ ખેતી પર નભે છે. આ વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો પણ નથી, એટલે જો આદિવાસી ખેડૂતોની ખેતી માટેની મહામૂલી જમીન જો સંપાદિત થાય તો એમને ભૂખે મરવાનો વારો આવે એમ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર જો આ જમીન સંપાદનનો નિર્ણય પરત નહીં ખેંચે તો નર્મદા જિલ્લાના ખેડૂતો ભારે લડત ચલાવવાનું મન બનાવી ચૂક્યા છે. તો આવનારા સમયમાં જિલ્લાનાં ખેડૂતો પોતાની જમીનો બચાવવા ઉગ્ર આંદોલન ચલાવશે એવાં એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.

દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે કયાં કયાં ગામોની જમીન સંપાદિત થશે ?
આ હાઇવે માટે ગરુડેશ્વર તાલુકાનું અકતેશ્વર, ફૂલવાડી, ગલુપુરા, ગરુડેશ્વર, મોટી રાવલ, નાના ઝુંડા, નવા વાઘપુરા, સમારિયા, વાંસલા અને વેલછંડી, જ્યારે તિલકવાડા તાલુકાનાં ઓલવા, ડાભેડ, દેવલિયા, ગેંગડિયા, જેતપુર, કોયારી, નવાપુરા, રતુડિયા, શિરા, સુરવા, ઉચાદ, જ્યારે નાંદોદ તાલુકાનાં આંબલી, બિતાડા, બોરિદ્રા, ગાડીત, જીતનગર, ખુટાઆંબા, મોટા લીમટવાડા, મોટા રાયપુરા, નાના લીમટવાડા, નાના રાયપરા, વડિયા અને વાવડી ગામોની જમીન સંપાદિત થશે.

Most Popular

To Top