Dakshin Gujarat

દેશમાં ધાર્મિક સ્થળોના વિવાદ વચ્ચે ઔરંગઝેબનો નવસારી સાથે છે અનોખો ઇતિહાસ

નવસારી : નવસારી(Navsari)ના સૌથી પૌરાણિક(legendary) ગણેશ મંદિર(Ganesh Tempal) પરથી એ ગામનું નામ ગણેશ સિસોદ્રા પડ્યું છે. ગણેશ સિસોદ્રાનું એ ગણેશ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને તેનો ઇતિહાસ ઔરંગઝેબ(Aurangzeb) સાથે સંકળાયેલો છે. દેશમાં 52 સ્વયંભૂ ગણેશજી છે, તેમાં ગણેશ સિસોદ્રાના ગણેશજીની પણ ગણના થાય છે. ગણેશ પુરાણ અને મનુસ્મૃતિમાં પણ તેનો ઉલ્લેખ છે. 1960માં આ મંદિરનો જિર્ણોધ્ધાર થયો હતો. આ મંદિરમાં બિરાજમાન ગણેશજી પ્રત્યે લોકોની આસ્થા એટલી બધી હતી કે આ ગામનું નામ પહેલાં સિસોદ્રા હતું, તે ગણેશ સિસોદ્ગા થઇ ગયું હતું. આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા ગણેશજી બિરાજમાન છે.

  • ધાર્મિક સ્થળો તોડવા માટે જાણીતા ઔરંગઝેબે નવસારીના ગણેશ મંદિરને જમીન દાનમાં આપી હતી
  • ગણેશ મંદિર પર ત્રીજી ચઢાઇ નિષ્ફળ જતાં ગણપતિ દાદાના ચમત્કારને નમીને જમીન દાન આપી

અત્યારે દેશમાં મંદિર મસ્જિદ વિવાદ ચાલે છે, ત્યારે ઔરંગઝેબે અનેક મંદિરો તોડીને મસ્જિદ બનાવી હોવાનું કહેવાય છે. જ્યારે નવસારી નજીક આવેલા ગણેશ સિસોદ્રા ખાતેના ગણેશ મંદિરને ઔરંગઝેબે જમીન દાનમાં આપી હોવાનું ઇતિહાસ કહે છે. એક નહીં બબ્બે વખત ઔરંગઝેબના સૈન્યે આ મંદિર પર ચઢાઇ કરી હતી. પરંતુ બંને વખતે સૈન્ય આ મંદિર પર ચઢાઇ કરવામાં નિષ્ફળ ગયું હતું. અને આખરે 1662માં ઔરંગઝેબ જાતે સૈન્યનું નેતૃત્વ કરીને ચઢાઇ કરવા આવ્યો હતો. પરંતુ એ વખતે તેને પણ ગણેશજીના ચમત્કારનો પરચો મળ્યો હતો. ઔરંગઝેબે ચઢાઇ કરી તો આસપાસથી અનેક ઝેરી ભમરા ત્યાં આવી પહોંચતા ઔરંગઝેબે પીછેહઠ કરવી પડી હતી.

મંદિરમાં દરેક દોષોનું નિવારણ કરવામાં આવે છે
આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રી, ભગવાનનો ચૈત્ર વદ બારસનો પાટોત્સવ અને ત્યાર બાદ ભાદરવાની વિનાયક ચોથ ભગવાનનો મહાઉત્સવ થાય છે. એ દિવસે 108 દીવાની આરતી થાય છે અને જે ભક્તો દર્શન કરવા આવે તેને લાડુનો પ્રસાદ આપવામાં આવે છે. મંગળવારે ભક્તો અહીં ચાલતા આવે છે. કર્મકાંડ દ્વારા દરેક દોષોનું નિવારણ કરવામાં આવે છે.

ભમરાને કારણે મંદિર પરની ચઢાઇનો પ્રયાસ નિષ્ફળ ગયો
ભમરાને કારણે મંદિર પરની ચઢાઇનો પ્રયાસ નિષ્ફળ જતાં ઔરંગઝેબ પણ ગણપતિ દાદાના ચમત્કારને પામી જાય છે. દસ્તાવેજ મુજબ તો ઔરંગઝેબે લખી આપ્યું હતું કે આ મંદિર અને આ જગ્યા ચમત્કારિક છે. આ જગ્યાનો વિકાસ થાય અને તેનો નિભાવ થાય એ માટે 20 વીંઘા જમીન દાનમાં આપી હતી. ઔરંગઝેબ એવું પણ લખે છે કે મારી સરકાર અમર રહો એવી પ્રાર્થના કરજો, એવું અમારી સાતમી પેઢીના દાદા મોહનગીરી બાપુને એવું લખાણ કરીને દસ્તાવેજ સોંપ્યો હતો, એમ અત્યારના મંદિરના પૂજારી મહારાજ કહે છે.

ઔરંગઝેબના હસ્તાક્ષર સાથેના દસ્તાવેજો છે
મંદિર પાસે ઔરંગઝેબે 20 વીંઘા જમીન આપી હોવાના પુરાવા પણ ઉપલબ્ધ છે. ફારસીમાં કેટલું લખાણ પણ જોવા મળે છે. એ જુના લખાણ પર બાદશાહની સહી પણ છે. અહીં એક કૂવો છે, જે એ વખતના વટેમાર્ગુઓની તરસ બુઝાવી શકે. એ ઉપરાંત પ્રાણીઓને પાણી મળી રહે એ માટે હવાડો પણ જોવા મળે છે. આ તમામ બાબતો પણ જુના દસ્તાવેજોમાં જોવા મળે છે, જેના પર ઔરંગઝેબના હસ્તાક્ષર સાથેના દસ્તાવેજોમાં જોવા મળે છે.

Most Popular

To Top