Comments

આવનારી મહામારી X માં ખરેખર દુનિયાના પાંચ કરોડ લોકો મરી જવાના છે?

વિશ્વના આરોગ્ય નિષ્ણાતો હવે ત્રિકાળજ્ઞાની બની ગયા છે. તેઓ નજીકના ભવિષ્યમાં આવનારી ભયંકર મહામારીની સચોટ આગાહી કરી શકે છે; એટલું જ નહીં, તેનાથી કેટલાં લોકો મરવાનાં છે, તેનો આંકડો પણ આપી શકે છે. કોરોના વાયરસ હજુ સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી અને વૈજ્ઞાનિકો એક નવી મહામારી તરફ ઈશારો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે આવનારી આગામી મહામારીમાં વિશ્વમાં ઓછામાં ઓછાં પાંચ કરોડ લોકોનાં મોત થશે.

વાયરસનો આવનારો હુમલો કોરોના કરતાં પણ વધુ ઘાતક બનવા જઈ રહ્યો છે. આ રોગચાળાનું નામ રોગ X પાડવામાં આવયું છે. તેની પાછળ ટેસ્લાના સ્થાપક એલન મસ્કની કોઈ ભૂમિકા હશે કે નહીં, તેની આપણને જાણ નથી, પણ એલન મસ્કના લગભગ તમામ પ્રોજેક્ટ X નામ ધરાવતા હોય છે. તેમના અવકાશ સાહસનું નામ સ્પેસ X હતું. તેમણે ટ્વિટર ખરીદ્યા પછી તેનું નામ પણ બદલીને X કરી નાખ્યું હતું. આ X એક અજ્ઞાત અને સંભવિત રોગચાળો છે. તે કયા વાયરસથી થશે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વૈજ્ઞાનિકોને એ વાતની ચોક્કસ જાણ છે કે તે ગમે ત્યારે આવી શકે છે.

જે રીતે દરરોજ નવા વાયરસ ફેલાઈ રહ્યા છે તે જોતાં એવું માનવામાં આવે છે કે રોગ Xનો હુમલો ટૂંક સમયમાં આવી શકે છે. ભારત પણ આનાથી અસ્પૃશ્ય રહેશે નહીં, કારણ કે આ સમયે દેશમાં વાયરસને આવવાના તમામ પ્રકારના માર્ગો જેવા કે રેલવે, હવાઈ અને પાણી ખુલ્લા છે. એવું માનવામાં આવે છે કે રોગ X પ્રાણીના વાયરસથી પેદા થશે. તે માણસોને સંક્રમિત કરી શકશે અને ટૂંકા ગાળામાં વૈશ્વિક સ્તરે ફેલાઈ શકશે. ભારત સરકાર આ સંભવિત મહામારીને ગંભીરતાથી લેતી હોય તેવું હાલમાં તો જણાતું નથી. આ કારણે જ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ ગયો, જેમાં દુનિયાભરનાં લોકો આવ્યાં હતાં. તેમાં કોઈના મોંઢા પર માસ્ક જોવા મળ્યો નહોતો. હવે ટૂંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવશે, જેમાં લાખો લોકો જાહેર સભાઓમાં ભાગ લેશે. કદાચ આ ચૂંટણી પતી જાય તે પછી મહામારી X આવી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે તાજેતરમાં જીનીવામાં યોજાયેલી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની બેઠકમાં આ રોગચાળાને લઈને ચેતવણી આપી છે. ટેડ્રોસે આ બેઠકમાં કહ્યું હતું કે કોઈ પણ સમયે બીજી મહામારી આવી શકે છે, જેના કારણે ભયંકર રોગ ફેલાઈ શકે છે અને મોટી સંખ્યામાં લોકોનાં મોત પણ થઈ શકે છે. આપણે આનો સામનો કરવા માટે સામુહિક રીતે તૈયાર રહેવું જોઈએ. જો કે સમગ્ર વિશ્વમાં કોવિડનો પ્રકોપ ઓછો થયો છે, પરંતુ હજુ પણ અન્ય પ્રકારના રોગચાળાની સંભાવના છે, જેના કારણે દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં વધારો થશે. વૈજ્ઞાનિકોના મતે આબોહવા પરિવર્તન પણ રોગ Xના ફેલાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

વાસ્તવમાં હવે માખીઓ, મચ્છર જેવા જંતુઓ એવી જગ્યાઓ પર પણ મળવા લાગ્યા છે, જ્યાં પહેલાં ઠંડી હતી અને જે હવે વધુ ને વધુ ગરમ થઈ રહી છે. આગામી વૈશ્વિક રોગચાળાને X નામ આપવામાં આવ્યું છે, કારણ કે વૈજ્ઞાનિકો જાણતા નથી કે આગામી જીવાણુ કોણ હશે જે રોગચાળાનું કારણ બનશે. વૈજ્ઞાનિકો કેટલાક વાયરસ પરિવારો પર સતત નજર રાખી રહ્યા છે અને માનવજાતને તેનાથી બચાવવા માટે રસી બનાવવામાં પણ વ્યસ્ત છે. બ્રિટિશ સરકારે આ માટે અત્યાધુનિક રસી સંશોધન સુવિધા શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં થતા રોગચાળાને અટકાવી શકાય અને કોવિડ-૧૯ જેવી મહામારીને કારણે રોજિંદા જીવનમાં કોઈ વિક્ષેપ ન આવે.

જૂના જમાનામાં કોઈ પણ રોગનો વાયરસ જોવા મળે તે પછી તેની રસી બનાવી શકાતી હતી. હવેના વૈજ્ઞાનિકો વાયરસ આવે તે પહેલાં તેની રસી તૈયાર કરીને વેચાણમાં પણ મૂકી શકે છે. કોવિડ-૧૯ વખતે બન્યું હતું તેમ રસી બનાવતી કંપનીઓ દ્વારા અબજો રૂપિયાની કમાણી કરી લેવામાં આવી હતી. તેના પરથી ખ્યાલ આવે છે કે વાયરસ માટે રસી બનાવવામાં નથી આવતી; પણ રસી બનાવીને વેચવા માટે લેબોરેટરીમાં વાયરસ બનાવીને હવામાં છોડવામાં આવે છે. કોરોના વાયરસ પણ ચીનની લેબોરેટરીમાંથી જ છોડવામાં આવ્યો હતો ને?

કહેવાય છે કે કોરોના વાયરસ આવ્યો તે પહેલાં ચીની કંપનીઓ દ્વારા તેની પેટન્ટ રજિસ્ટર કરાવી લેવામાં આવી હતી. હવે પશ્ચિમના દેશો આગામી મહામારીમાંથી કમાણી કરવાની તૈયારી કરી રહ્યા છે. બ્રિટનમાં રસી બનાવવાની સુવિધા વિલ્ટશાયરમાં UK હેલ્થ એન્ડ સિક્યોરિટી એજન્સી (UKHSA) માં ખોલવામાં આવી છે. તેનું નામ ધ વેક્સીન ડેવલપમેન્ટ એન્ડ ઈવેલ્યુએશન સેન્ટર છે. આ રસી કેન્દ્રના વડા કેટ બિંગહામે રોગ X સંબંધિત નવીનતમ ચેતવણી જારી કરી છે. તેઓ કહે છે કે આવનારો રોગ ૧૯૨૦ના સ્પેનિશ ફ્લૂ જેવો જ ઘાતક હશે. હકીકતમાં સ્પેનિશ ફ્લૂના કારણે પાંચ કરોડ લોકોનાં મોત થયાં હતાં. સ્પેનિશ ફ્લુને મધર ઓફ ઓલ પેન્ડેમિકસ કહેવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનો દાવો છે કે તે કોરોનાના આગમન પહેલાંથી મહામારી X ની તૈયારી કરી રહી છે. તેના વર્ષ ૨૦૧૮ ના એક અહેવાલમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રોગ X આપણા વિશ્વ માટે સૌથી મોટો ચેપી ખતરો બની શકે છે. કોવિડ-૧૯ રોગચાળાની શરૂઆતના લગભગ બે વર્ષ પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેની પ્રાથમિકતા રોગોની બ્લુપ્રિન્ટની સૂચિમાં ડિસીઝ Xનો સમાવેશ કર્યો હતો.

આ એવા રોગોની સૂચિ હતી કે જેના માટે આરોગ્ય સંસ્થાએ નિર્ધારિત કર્યું હતું કે તેનો મુકાબલો કરવા માટે ઝડપી સંશોધનની તાત્કાલિક જરૂર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ એવા વાઈરસ પર નજર રાખી રહ્યા છે, જે પહેલાંથી જ ખતરો પેદા કરવા માટે જાણીતા છે. આ વાયરસ દ્વારા થતા સંભવિત રોગો સામે હાલની રસીઓની અસરકારકતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જે સંભવિત જોખમોને ઘટાડવામાં મદદ કરી શકે છે. મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ (MERS-COV) અને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS) જેવા બંને કોરોના વાયરસ છેલ્લા બે દાયકા દરમિયાન જ ફાટી નીકળ્યા છે.

એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ડિસીઝ X અથવા તેના જેવા રોગો કેટલા ખતરનાક છે અથવા વૈશ્વિક રોગચાળો ફેલાવવાની શક્યતા કેટલી છે તે કોણ નક્કી કરે છે? વાસ્તવમાં, WHO સહિત અનેક વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓમાં ૩૦૦ થી વધુ વૈજ્ઞાનિકોની એક ટીમ કામ કરી રહી છે, જેઓ હાલમાં ૨૫ થી વધુ વાયરસ અને બેક્ટેરિયા પરિવારો પર સંશોધન કરી રહ્યા છે. આ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ટીમ વાયરસ અથવા બેક્ટેરિયાના ચેપના આધારે આગાહી કરે છે કે કયો રોગ કેટલો ખતરનાક સાબિત થશે અથવા તે કયો રોગચાળો લાવી શકે છે. આ રોગ માટે કોઈ નિશ્ચિત સમયની આગાહી કરી શકાતી નથી. વિશ્વભરમાં જે રીતે નવા ઘાતક વાયરસ દરરોજ ઉભરી રહ્યા છે તેને કારણે વૈજ્ઞાનિકોને ડર છે કે ડિસીઝ એક્સને દેખાવામાં વધુ સમય નહીં લાગે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે આ રોગના જોખમને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે વૈશ્વિક તૈયારીઓ કરવાની જરૂર છે. WHO ના વડા ડીજી ટેડ્રોસ ગેબ્રેયસસે વિશ્વભરના દેશોને આ જીવલેણ રોગ X નો સામનો કરવા માટે એક ‘મહામારી સંધિ’ પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી છે. આ ‘મહામારી સંધિ’ પર હસ્તાક્ષર કરવા ભારત સહિતના દેશો હજુ સુધી તૈયાર નથી થયા, કારણ કે તે સંધિ પર હસ્તાક્ષર કરવાથી આપણા દેશનું સાર્વભૌમત્વ ખતરામાં આવી જાય છે. આ સંધિની એક કલમ એવી છે કે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા કોઈ પણ રોગને મહામારી જાહેર કરે ત્યારે દરેક દેશે ફરજિયાત તેની રસી ખરીદવી પડે અને નાગરિકોને ફરજિયાત આપવી પણ પડે. કેટલાક જાણકારો તેની રસી ઉત્પાદક કંપનીઓનું કૌભાંડ પણ ગણાવી રહ્યા છે.

Most Popular

To Top