Gujarat

રથયાત્રામાં પ્રથમવાર 3ડી મેપીંગ ટેકનોલોજીના ઉપયોગથી બાજ નજર રખાશે

ગાંધીનગર: (Gandhinagar) આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં (Ahmedabad) યોજાનારી ૧૪૬મી જગન્નાથ રથયાત્રા (Rath Yatra) શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

  • રથયાત્રામાં પ્રથમવાર 3ડી મેપીંગ ટેકનોલોજીના ઉપયોગથી બાજ નજર રખાશે
  • અમદાવાદની ૧૪૬મી જગન્નાથ રથયાત્રાની સલામતી વ્યવસ્થાની દાદાએ સમીક્ષા કરી
  • 45 જેટલા સેન્સેટિવ લોકેશન પરથી 94 સી.સી.ટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે

બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ચીફ સેક્રેટરી રાજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમજ રાજયના પોલીસ વડા વિકાસ સહાય અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે રથયાત્રા સંદર્ભમાં શહેર પોલીસની આગોતરી તૈયારીઓનું પ્રેઝન્ટેશન આ સમીક્ષા બેઠકમાં કર્યું હતું. અમદાવાદમાં જમાલપુરમાં પ્રસિદ્ધ જગદીશ મંદિરની
૧૬મી રથયાત્રા ઉપરાંત રાજયભરમાં ૧૯૮ જેટલી રથયાત્રા નીકળનાર છે, તેની સલામતી અંગે પણ ચર્ચા થવા પામી હતી.

આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજિક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નિગરાની રાખવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે આ 3 ડી મેપિંગથી નિગરાની રાખવાનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસદળને સૂચન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા કે ફોન-વ્હોટસએપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઓળખના આધાર – પુરાવા વિના પ્રિપેઇડ સીમકાર્ડ વેચનારા લોકો સામે કડકાઇથી કામ લેવાય તે આવશ્યક છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠકની વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદની આ 146મી રથયાત્રા રંગે ઉમંગે પાર પડે તે માટે રાજ્ય સરકારે સુદૃઢ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મળીને 198 જેટલી રથયાત્રાઓ તેમજ અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સાથે અન્ય 6 નાની રથયાત્રાઓ પણ અલગ અલગ વિસ્તારો માથી નીકળે છે. આ બધી જ નાની મોટી રથ યાત્રાઓમાં કોમી સંવાદિતા જળવાઈ રહે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રીને માર્ગદર્શન આપ્યુ હતું.

મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાંથી મળતી વિગતો મુજબ , અમદાવાદની ૧૪૬મી રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી – કર્મચારીઓ ફરજરત રહેવાના છે. એટલું જ નહીં, 45 જેટલા સેન્સેટિવ લોકેશન પરથી 94 સી.સી.ટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે. આ ઉપરાંત, 2322 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો, યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV અને GPS સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો મેળવવામાં આવશે.રથયાત્રા રૂટથી પોલીસ અધિકારીઓને પરિચિત કરાવવા સંબંધિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે.

એરિયા ડોમિનેશન અન્વયે ફૂટ પેટ્રોલિંગ કરીને જે તે વિસ્તારમાં પોલીસની પ્રેઝન્સ અનુભવાય તેવી કાર્યવાહી 3,732 ફૂટ પેટ્રોલિંગ થી કરાઈ છે.આ ઉપરાંત 32 ઉડાન દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સંવેદનશીલ વિસ્તારો પર નિરીક્ષણ કર્યું છે. 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમણે આ રથયાત્રા દરમિયાન કોઈ અનઅધિકૃત ડ્રોન ઉપયોગમાં ન લઈ શકાય તે માટે એન્ટી ડ્રોન ટેકનોલોજી નો પણ આ વખતે પ્રથમવાર ઉપયોગ કરવામાં આવશે.

Most Popular

To Top