Health

એસિડ રીફલકસ.. ખોરાકથી કાબૂમાં લાવી શકાય!

જઠર અને અન્નનળી જ્યાં મળે છે ત્યાં એક નાનકડો વાલ્વ હોય છે. આ વાલ્વ ખોરાકને અન્નનળીમાંથી જઠર તરફ ધકેલે છે. ખોરાક જઠરમાં પહોંચ્યા બાદ આ વાલ્વ બંધ થઈ જાય છે. ક્યારેક જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય અને આ એસિડને કારણે આ વાલ્વ ખુલ્લો રહી જાય ત્યારે આ જઠરનો એસિડ મોઢા તરફ આવે છે અને છાતીમાં બળતરા ઉત્પન્ન કરે છે.

આજકાલ નાનાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ એસિડિટીની ફરિયાદ કરતા હોય છે. લોકોની જીવનશૈલી, ખાનપાનની રીતો બદલાઈ છે. સતત બહારનો ખોરાક, વધુ પડતાં મસાલા – મેંદાવાળો ખોરાક, ખૂબ દોડભાગવાળી જિંદગી , સ્ટ્રેસફૂલ જીવન… આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક શરીરમાં વધુ એસિડ ઉત્પન્ન થવા માટે કારણભૂત છે. આ માટે આવો સમજીએ એસિડ રીફલકસ કેવા સંજોગોમાં થાય છે?

એસિડ રીફ્લક્સ એટલે શું?
આપણા જઠરમાં જટિલ ખોરાકને પચાવવા માટે ‘હાઇડ્રોકલોરિક એસિડ’ ઉત્પન્ન થાય છે. આપણા જઠર અને અન્નનળી જ્યાં મળે છે ત્યાં એક નાનકડો વાલ્વ હોય છે. આ વાલ્વ ખોરાકને અન્નનળીમાંથી જઠર તરફ ધકેલે છે. ખોરાક જઠરમાં પહોંચ્યા બાદ આ વાલ્વ બંધ થઈ જાય છે જેથી જઠરમાંથી ઉપરની તરફ જઈ શકતો નથી. ક્યારેક જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય અને આ એસિડને કારણે આ વાલ્વ ખુલ્લો રહી જાય ત્યારે આ જઠરનો એસિડ મોઢા તરફ આવે છે અને છાતીમાં બળતરા ઉત્પન્ન કરે છે. આ સમસ્યાને ‘એસિડ રિફલક્સ’ કહેવામાં આવે છે.

એસિડ રીફલક્સનાં લક્ષણો :-

  • પેટના ઉપરના ભાગથી લઇ છાતી અને ગળા સુધી બળતરા થવી.
  • ખાટું – તીખું પ્રવાહી મોઢામાં આવવું.
  • ખોરાક ખાધા બાદ લાંબા સમય સુધી પેટ ફૂલેલું લાગવું.
  • મળનો રંગ કાળો થવો.
  • ભૂખ ન લાગવી.
  • ઓડકાર આવવા.

એસિડ રીફ્લકસ થવા માટે જવાબદાર પરિબળો:

  • ખૂબ વધુ માત્રામાં એક સાથે ખાવું.
  • ખાધા પછી તુરંત સૂઈ જવું.
  • વધુ પડતી સ્થૂળતા.
  • રાત્રે સૂવા પહેલાં નાસ્તો કરવો.
  • દારૂ, કાર્બોનેટેડ પીણાં, કોફી, ચા જેવાં પીણાંઓનો અતિરેક.
  • ધૂમ્રપાન.
  • કેટલીક પેન કિલર અને એન્ટી બાયોટિક જેવી દવાઓ.
  • સૂકા, ગરમ મસાલાનું સેવન.
  • અથાણાંનું સેવન

એસિડ રીફ્લકસ નિવારવા શું કરશું?

  • લાલ મરચું અને ગરમ મસાલાવાળો ખોરાક ટાળવો.
  • તળેલો ખોરાક ન ખાવો. તળેલા ખોરાકને પચાવવા માટે વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે.
  • ખોરાકમાં દહીંનો ઉપયોગ ખાસ કરવો. દહીંની ઠંડી પ્રકૃતિ એસિડની અસર ઓછી કરે છે. વળી, દહીંમાં રહેલા પ્રો બાયોટીક બેક્ટેરિયા પાચનને ઝડપી બનાવશે.
  • ખૂબ લાંબા સમય સુધી પેટ ખાલી ન રાખવું. દર બે- અઢી કલાકે ફળો, લીંબુ શરબત, છાશ, શેકેલો નાસ્તો જેવો થોડો – થોડો આહાર લેતા રહેવું જોઈએ જેથી જઠરના એસિડને મંદ પાડી શકાય.
  • કોફી – ચા ટાળવા. ચા – કોફીમાં રહેલું કેફીન અને ટેનિન વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન કરે છે.
  • થોડા – થોડા સમયાંતરે પાણી પીવું. ખોરાક ખાવાની સાથે પણ પ્રત્યેક કોળિયે ૧-૧ ઘૂંટ પાણી પીવું . આમ કરવાથી ખોરાકને પચાવવા માટે વધુ એસિડનું ઉત્પાદન અટકી શકે.
  • ધૂમ્રપાનની આદત હોય તો તે છોડવી.
  • આલ્કોહોલ ખાસ કરીને બિયરનું સેવન કરવાથી વધુ એસિડ ઉત્પન્ન થાય છે .
  • દૂધી+ પાલક+ ટામેટાં + લીંબુનો રસ એસિડની અસર મંદ કરે છે. આ રસનું બ્રેકફાસ્ટ અને બપોરના નાસ્તા પહેલાં સેવન કરવું જોઈએ.

ખોરાક ઉપરાંત નીચેના કેટલાક ઉપાયો પણ રીફ્લકસની સારવારમાં કારગત સાબિત થઈ શકે

  • પલંગથી માથા નીચેનો ભાગ ૪-૬’’ જેટલો ઊંચો રાખી સૂવું. માથું નીચે તરફ ઢળતું રાખવું નહિ. આમ કરવાથી એસિડ ઉપર આવતાં અટકે છે.
  • સૂવાના ૨ થી ૩ કલાક પહેલાં જમી લેવું.
  • કારણ વગર દુખાવાની દવાઓ, એન્ટી બાયોટિક્સ તથા અન્ય કોઈ પણ દવાઓ લેવાની ટાળવી.
  • બપોરે જમીને સૂવાની આદત હોય તો માત્ર ખુરશી પર જ લંબાવવું.
  • ખૂબ ટાઇટ કપડાં અને કમર પર બેલ્ટ પહેરવાનું ટાળવું.
  • જો શરીરનું વજન વધુ હોય, ખાસ કરીને પેટના ભાગ પર ચરબીનો ભરાવો વધુ હોય તો તે ઉતારવાનો પ્રયત્ન કરવા માટે સત્વરે લાગી પડવું. તે માટે યોગ્ય આહાર અને કસરતનો સમન્વય કવોલીફાઈડ ડાયટીશ્યન તથા ટ્રેનરની મદદ લઈને કરવો.
  • જો એસિડ રીફ્લકસ એક અઠવાડિયાથી વધુ રહે તો ડૉકટરની સલાહ લઈ યોગ્ય સારવાર કરવી.

Most Popular

To Top