SURAT

અડાજણના જાણીતા ડોક્ટરે પોતાની હોસ્પિટલમાં જ ઈન્જેક્શન મારી આપઘાત કરી લેતા ચકચાર

સુરત(Surat) : શહેરના અડાજણ (Adajan) તાડવાડી વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં જાણીતા ડોક્ટરે (Doctor) અગમ્ય કારણોસર આપઘાત (Suicide) કરી લીધો છે. શાંત સ્વભાવના તબીબના આપઘાતના પગલે પરિવારજનો અને તબીબી આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને તાડવાડી ખાતે આવેલી પટેલ હોસ્પિટલના ડોકટરે જાતે જ પોતાના હાથમાં ઇંજેશન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમના ડોકટર મિત્રો, અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ પાટિયા ખાતે આવેલી પટેલનગર સોસાયટીમાં રહેતા ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉં.વ.54) એ મંગળવારે રાત્રે રાંદેર તાડવાડી ખાતે આવેલી પટેલ હોસ્પિટલની અંદર જાતેજ એક હાથમાં કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. તેઓ હોસ્પિટલની અંદર જ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.પરિવારજનો તેમણે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વધુમાં બનાવની તપાસ કરી રહેલા રાંદેર પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી.હડિયાએ જણાવ્યું હતું કે ઉદયભાઈ એમડી ફીજીશીયન ડોક્ટર હતા. તાડવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતે જ પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો.

તેમણે સંતાનમાં એક પુત્ર છે જે હાલમાં અમેરિકા ખાતે રહે છે. તેઓ અહીં માતા પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણી શકાયું નથી. વધુમાં જાણવા મળ્યું છે કે ડો. ઉદય ખૂબ જ શાંત સ્વભાવના હતા. ડો. ઉદયે આ પગલું ભરતા પરિવારજનો અને મિત્રો આઘાતમાં સરી પડ્યાં છે.

Most Popular

To Top