Dakshin Gujarat

અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઈન ફરી બંધ

ઔદ્યોગિક નગરી અંકલેશ્વર-ઝઘડિયા થઈને નર્મદાનું જિલ્લા પેલેસ રાજપીપળાને જોડતી બ્રોડગેજ રેલવે હાલ બંધ હોવાથી ફરીવાર ચાલુ કરવા લોકમાંગ ઊભી થઇ છે. આ રેલવે ટ્રેકથી ભરૂચ અને નર્મદા જિલ્લા માટે કડીરૂપ સેતુબંધ સમાન છે. આ જ જગ્યાએ રજવાડા સમયે લગભગ નવ દાયકા પહેલાં નેરોગેજ ટ્રેનો ચાલતી હતી. થોડા સમય પહેલા સમયની માંગને લઈને અંકલેશ્વર, ઝઘડિયાથી લઈને રાજપીપળાની નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કર્યા બાદ રેલવે ચાલુ કરવામાં આવી હતી. જેનો લાભ ઔદ્યોગિક નગરી અંકલેશ્વર સહિત વિસ્તારમાં નોકરિયાત વર્ગને થતો હતો. જો કે, કોવિડ-19ના લોકડાઉનના પ્રારંભે બંધ થવાનું ગ્રહણ લાગતાં રોજબરોજ મુસાફરી કરનારાની ભારે કફોડી હાલત થઇ છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા માટે મુંબઈગરા માટે ટ્રેનવ્યવહાર વડોદરા, ડભોઇથી શરૂ કરી શકે તો અંકલેશ્વર-રાજપીપળા નિયમિત રેલવે ચાલતો વ્યવહાર બંધ કરવું કારણ યોગ્ય નથી.

અંકલેશ્વરથી ઝઘડિયા રાજપીપલા સુધી આ રેલવે લાઇન પર અંકલેશ્વર, ઉદ્યોગનગર, ડઢાલ, બોરીદ્રા, ગુમાનદેવ, ન્યૂ ગુમાનદેવ, ઝઘડિયા, અવિધા, રાજપારડી, ઉમલ્લા, જૂના રાજુવાડિયા, આમલેથા, તરોપા અને રાજપીપળા સહિત કુલ ૧૪ સ્ટેશન આવેલાં છે. આમ તો અગાઉ રેલવેને રાજપીપળાની આગળ કેવડિયા સુધી લંબાવવામાં આવે તો 100 ટકા ઓક્સિજનયુક્ત ઇકો પોઈન્ટ ડિસ્ટ્રિક્ટ પેલેસ તેમજ કેવડિયાનું નવું નજરાણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિઝમ તરીકે વિકસતા સુરતીઓ, મુંબઈવાસીઓ આ વ્યવહારથી ઉમદા સવલત બની શકે છે. જો કે, બીજા વ્યવહાર માટે કેવડિયાને વડોદરા ડભોઇ સાથે રેલવે સેવાથી જોડવામાં આવ્યું છે. અંકલેશ્વર રાજપીપળા રેલવેનું વિસ્તૃતીકરણ કરી કેવડિયા સાથે જોડાય તો અંકલેશ્વરની આગળ મુંબઈ તરફની ટ્રેન સેવાનો લાભ પણ મળી શકે તેમ છે.

ઉપરાંત આ રેલવે બંને જિલ્લાની મુસાફર જનતા તેમજ અંકલેશ્વર, ઝઘડિયા જીઆઈડીસી સહિત ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં કામે જતા કામદાર વર્ગને પણ રાહત થાય તેમ છે. લોકડાઉનના પ્રારંભે બંધ કરી દેવાતાં રેલવે ફરીથી ચાલુ કરીને આખા દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ટ્રેનો દોડાવાય તો મુસાફરોને યોગ્ય લાભ મળી શકે. આ વ્યવહાર જો વિઝનથી વિચારે તો કેવડિયા સુધી લંબાવે તો કેવડિયાથી ડાયરેક્ટ મુંબઈ સુધીની ટ્રેન વ્યવહાર શરૂ કરી આવકનું એક સાધન બની શકે એમ છે. ભરૂચ અને નર્મદા જિલ્લા સાથે જોડતી કડીસમાન આ અંકલેશ્વર-રાજપીપળા રેલવે સેવાને વિસ્તૃત બનાવાય તોજ આ વિસ્તારની જનતા તેનો યોગ્ય લાભ લઇ શકે. સમગ્ર મુદ્દે સ્થાનિક નેતાઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તો ધાર્યું પરિણામ મળી શકે એમ છે.

Most Popular

To Top