અમદાવાદ,
ગુજરાતમાં ઉનાળાની તીવ્રતા યથાવત્ છે અને અનેક શહેરોમાં તાપમાન 40 ડિ.સે.ની આસપાસ અથવા વધુ નોંધાઈ રહ્યું છે. આજે રાજકોટમાં સૌથી વધુ 42 ડિ.સે. તાપમાન નોંધાયું હતું, જેના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અન્ય શહેરોમાં ભુજમાં 39 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 38 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 41 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે., પોરબંદરમાં 34 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ.સે., મહુવામાં 34 ડિ.સે., કેશોદમાં 37 ડિ.સે., અમદાવાદમાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે. અને દમણમાં 35 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન દમણ વિસ્તારમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત અને તટીય સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. રાજ્યના બાકીના વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નીચું, જ્યારે તટીય વિસ્તારોમાં સામાન્યથી વધુ નોંધાયું છે.હાલમાં કાશ્મીર વિસ્તાર ઉપર પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર ઉપરવાસી ચક્રવાતી પરિસ્થિતિ યથાવત્ છે. જેના કારણે રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિ.સે. જેટલો વધારો થવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિ.સે.થી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 થી 12 મે દરમિયાન તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે અસ્વસ્થતા વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ઉકળાટ વધવાની શક્યતા છે.સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં વરસાદી પ્રવૃત્તિ નોંધાઈ શકે છે.
અમદાવાદ શહેરમાં આવતીકાલ સુધી આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 41 ડિ.સે. આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે સ્થાનિક લોકોને ગરમીથી બચવા પૂરતું પાણી પીવાનું, તડકામાં બહાર નીકળવાનું ટાળવાનું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે.