સુરતના વેપારીઓએ વ્યાજદર ઘટાડા અને એક્સપોર્ટ રાહતની માંગ ઉઠાવી
દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા દેશભરના ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. સુરતમાંથી પણ અનેક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં South Gujarat Textile Processors Associationના પ્રમુખ સહિત સુરતના ટેક્સટાઇલ પ્રોસેસર, વિવિંગ, યાર્ન, નિટિંગ તેમજ ડાયડ કેમિકલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ જોડાયા હતા. બેઠકમાં કેન્દ્ર સરકારના Ministry of Textiles અને Ministry of Commerce and Industryના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ લગભગ દસ મિનિટ સુધી ઉદ્યોગકારોને સંબોધન આપ્યું હતું અને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે સરકારની દૃષ્ટિ અને યોજનાઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ વિવિધ ઉદ્યોગકારોએ પોતાની સમસ્યાઓ, સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અગ્રણી Jitu Vakhariaએ બેઠકમાં ઉદ્યોગની હાલની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ટેક્સટાઇલ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે બેંકોના વ્યાજદર ઘટાડવા અત્યંત જરૂરી છે. વર્કિંગ કેપિટલ માટે ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ થાય તો ઉદ્યોગકારોને મોટી રાહત મળી શકે.તેમણે એ પણ રજૂઆત કરી કે કાચા માલ અને અન્ય ઇનપુટ કોસ્ટમાં સતત વધારો થવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે ઉદ્યોગનો નફો ઘટી રહ્યો છે. તેથી ઇનપુટ કોસ્ટમાં ઘટાડો કરવા માટે સરકાર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
સાથે જ ટેક્સટાઇલ માલના એક્સપોર્ટ પર આર્થિક રાહત અથવા પ્રોત્સાહન આપવાની પણ માંગ કરવામાં આવી હતી, જેથી ભારતના ઉદ્યોગકારો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકે. હાલમાં ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસ કરીને ચીન સાથે કડક સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ચીનનું કાપડ ખૂબ સસ્તું હોવાથી તેનો આયાત ભારતમાં મોટા પ્રમાણમાં થાય છે.તેમ છતાં ઉદ્યોગકારોના મત મુજબ, સરકારના સહયોગ અને યોગ્ય નીતિઓ દ્વારા ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આગામી સમયમાં વધુ મજબૂત બનવાના સકારાત્મક સંકેત દેખાઈ રહ્યા છે.