National

પોલીસ જાદૂગર નથી, બેંગ્લોરની દુર્ઘટના માટે RCB જવાબદારઃ ટ્રીબ્યુનલનું મહત્ત્વનું નિવેદન

ઈન્ડિય પ્રિમીયર લીગની ટ્રોફી 18 વર્ષ બાદ જીતનાર RCBની ટીમ બેંગ્લોર પહોંચી ત્યારે લાખો ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચાહકોએ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રવેશવા ધસારો કર્યો હતો. ભીડ બેકાબુ બનતા નાસભાગ મચી હતી અને 11 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા. હવે આ મામલે ટ્રિબ્યુનલ કોર્ટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ટ્રિબ્યુનલે સમગ્ર ઘટના માટે RCBને જવાબદાર ઠેરવી છે.

સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ 4 જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડ માટે RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ને જવાબદાર ઠેરવ્યું છે. ટીમે પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર અચાનક વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી હતી, જેના કારણે લાખોની ભીડ એકઠી થઈ હતી. આ ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

ટ્રિબ્યુનલે પોતાની ટિપ્પણીમાં કહ્યું, ‘પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે લગભગ ત્રણથી પાંચ લાખ લોકોની ભીડ એકઠી કરવા માટે RCB જવાબદાર છે. RCB એ પોલીસ પાસેથી યોગ્ય પરવાનગી કે સંમતિ લીધી ન હતી. અચાનક સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરવામાં આવી અને તેના પરિણામે લોકો ભેગા થયા.’

ટ્રિબ્યુનલે RCB દ્વારા આ કાર્યક્રમની અચાનક જાહેરાતને ‘અરાજકતા ફેલાવનાર’ ગણાવી હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ‘RCB એ કોઈપણ પૂર્વ પરવાનગી વિના અચાનક આ પ્રકારની અરાજકતા ઊભી કરી. એવી અપેક્ષા રાખી શકાય નહીં કે માત્ર 12 કલાકમાં પોલીસ પોલીસ અધિનિયમ અથવા અન્ય નિયમો અનુસાર તમામ જરૂરી વ્યવસ્થા કરી શકશે.’

RCB એ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ તેમની પહેલી IPL જીતના બીજા દિવસે 4 જૂને વિજય સરઘસ કાઢશે. પોલીસની ભૂમિકાનો બચાવ કરતા ટ્રિબ્યુનલે કહ્યું, “પોલીસકર્મીઓ પણ માણસો છે. તેઓ ન તો ‘ભગવાન’ છે કે ન તો ‘જાદુગર’. તેમની પાસે ‘અલાદ્દીનના જીન’ જેવું કોઈ જાદુઈ ઉપકરણ નથી જેનાથી તેઓ ફક્ત આંગળીઓ હલાવીને કોઈપણ ઇચ્છા પૂરી કરી શકે.”

ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે પોલીસને યોગ્ય તૈયારીઓ માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. 4 જૂન 2025 ના રોજ સમયના અભાવે, પોલીસ જરૂરી વ્યવસ્થા કરી શકી ન હતી. પોલીસને પૂરતો સમય મળ્યો ન હતો. આ ટિપ્પણી બેંગલુરુના એક પોલીસ અધિકારી દ્વારા તેમના સસ્પેન્શન સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 3 અને 4 જૂનની રાત્રે મોટી સંખ્યામાં લોકો પહેલેથી જ હાજર હતા અને પોલીસ તેમને સંભાળવામાં વ્યસ્ત હતી. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં બીજો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, જેનાથી પોલીસ દળ પર વધુ દબાણ આવ્યું. ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું હતું કે પોલીસને આવી ભીડને નિયંત્રિત કરવા અને જરૂરી વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય અને અગાઉથી માહિતી આપવી જોઈતી હતી, જે આ કેસમાં આપવામાં આવી ન હતી.

Most Popular

To Top