Madhya Gujarat

નડીયાદ પણ બનશે મહાનગરપાલિકા, ચરોતરમાં હવે બે મહાનગર




નડિયાદ નગરપાલિકાને ‘મનપા’ જાહેર કરાતા નગરજનોમાં ખુશી, સરકાર દ્વારા ચરોતરમાં આણંદ બાદ વધુ એક નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો



તાજેતરમાં વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ હતી. જોકે આમાં નડિયાદ નગરપાલિકાનો સમાવેશ ન થતા નડિયાદના નગરજનોમાં જન આક્રોશ જોવા મળ્યો હતો. છેવટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ સરકાર ઝુકી છે અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાતના પગલે સૌ નડિયાદ નગરમાં ખુશીની લહેર છવાઈ છે. આ પહેલા આણંદને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત બાદ ચરોતરમાં હવે બે મહાનગર બનશે.


નડિયાદ નગરપાલિકાની હાલની વસ્તી મહાનગરપાલિકા બનવા માટે સક્ષમ છે. ત્યારે રાજ્ય સરકારે આજે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. અગાઉ જ્યારે સાત નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ તેમાં આણંદ સહિતની નગરપાલિકાઓનો સમાવેશ થયો છે. પડોશી જિલ્લા આણંદમાં આણંદ નગરપાલિકામાંથી ‘મનપા’ બની તો નડિયાદ તો વર્ષો જૂનું શહેર છે. ખેડા જિલ્લાના નડિયાદ એક વખતે રાજકીય એપી સેન્ટર હતું. ત્યારે નડિયાદને ‘મનપા’ દરજ્જો ન મળતા જે તે સમયે ભારે નારાજગી સાથે વિરોધ થયો હતો. અન્યાય થતા નડિયાદને મહાનગરપાલિકા બનાવવાની ચોમેરથી માંગ ઉઠી હતી.

ત્યારે આજે રાજ્ય સરકારે વધુ એક નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ છે.નડિયાદ મહાનગર પાલિકાના દરજ્જા માટે વિધાનસભાના પૂર્વ દંડક અને હાલ નડિયાદના ધારાસભ્ય
પંકજભાઈ દેસાઈની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ આ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો અને
પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. સરદાર પટેલની જન્મભૂમિ હોય સરકારે ખાસ પ્રાધાન્ય આપ્યું છે.
નડિયાદની આસપાસના સંભવિત ગામડાઓ જોઈએ તો, યોગીનગર, ડભાણ, પીપલગ, મરીડા, ઉત્તરસંડા, પીજ, ટુડેલ, સહિતના ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં થશે. આ સંદર્ભે નડિયાદ સીઓ એ જણાવ્યું કે, નડિયાદની હાલની અંદાજિત વસ્તી 3.30 લાખની આસપાસ છે જે બાદ મનપા માં આસપાસના ગામો ઉમેરાશે તો 4 લાખ ઉપરાંતની વસ્તી થશે.

Most Popular

To Top