Business

‘રાજકારણમાં રસ નથી, પરિવારને સનાતન ધર્મમાં વિશ્વાસ છે’: અનંત અંબાણી

મુંબઇ: અંબાણી પરિવાર વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી (Anant Ambani) આકાશ અંબાણી અને ઈશા અંબાણી તેમના પરિવારના આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી પારિવારિક વ્યવસાયના (Business) વારસદાર છે. ટૂંક સમયમાં જ અનંત ગુજરાતના જામનગરમાં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે પ્રી-વેડિંગ ફંક્શન હોસ્ટ કરવા જઈ રહ્યો છે.

આ પહેલા અનંતે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તે કોઈપણ પ્રકારનું દબાણ અનુભવી રહ્યો નથી. તેણે કહ્યું, ‘કોઈ દબાણ નથી. મને લાગે છે કે આવા પરિવારમાં જન્મ લેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. મારુ સૌભાગ્ય છે કે મારા પિતા છે તે આ જનમમાં મારા પિતા છે. તેમણે માત્ર મને જ નહિ પરંતુ બીજા ઘણા લોકોને સારા કામ કરવા અને ભારતમાં ઉદ્યોગો બનાવવાનું શીખવ્યું.

અનંતે આગળ કહ્યું, ‘મારા પિતા અને મારા દાદાએ રિલાયન્સને ઘણી ઊંચાઈઓ પર પહોંચાડી હતી. તેમજ મને લાગે છે કે મારા પિતાના સંકલ્પને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારી, મારા ભાઈ અને મારી બહેનની છે.

અનંતે એ પણ ખુલાસો કર્યો કે એક વિશ્વ-કક્ષાનો વેપારી પરિવાર હોવા ઉપરાંત તેઓ બધા ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તેમજ સનાતન ધર્મમાં માને છે. અનંતે કહ્યું, ‘મારો ભાઈ શિવનો મોટો ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારી માતા નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક વ્યક્તિ ભગવાનના ભક્ત છે. આપણી પાસે જે કંઈ છે તે ઇશ્વરે આપ્યું છે. અમે માનીએ છીએ કે ભગવાન સર્વત્ર છે, તમારામાં અને મારામાં. મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે.’

શું અનંત અંબાણી રાજકારણમાં આવવા માંગે છે?
જ્યારે અનંતને પૂછવામાં આવ્યું કે શું તે રાજકારણમાં આવવા માંગે છે? તો તેણે તરત જ જવાબ આપ્યો, ‘મને રાજકારણમાં રસ નથી.’

તમને જણાવી દઈએ કે જામનગર હાલમાં હજારો મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે, જેમાં ઘણી જાણીતી હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને પોપ સ્ટાર્સ સામેલ છે. અંબાણી પરિવારની ખુશીમાં અનેક દિગ્ગજ લોકો સામેલ થવાના છે. ગેસ્ટ લિસ્ટમાં મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત જેવા નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ગ્લોબલ પોપ સ્ટાર રિહાના પણ પરફોર્મ કરવા જઈ રહી છે. આ ત્રણદિવસીય સમારોહ 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં અંબાણી નિવાસે ખાતે ચાલશે.

Most Popular

To Top