Vadodara

વિશ્વામિત્રીમાં મગરો પર સંકટ યથાવત,નાગરવાડા બ્રિજ પાસે મહાકાય મગર ફસાયો

વાઇલ્ડ લાઇફ ટીમે જીવના જોખમે કર્યું રેસ્ક્યુ,જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા

( પ્રતિનિધિ )વડોદરા,20

વિશ્વામિત્રી નદીમાં ઊંડી અને પહોળી કરવાની કામગીરી વચ્ચે વધુ એક વખત મગરને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. નાગરવાડા બ્રિજ પાસે નદીમાં એક મહાકાય મગર ફસાઈ જતા વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.

વડોદરા શહેરના નાગરવાડા બ્રિજ નજીક ચાલી રહેલા કામના કારણે મગર એક જગ્યાએ ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો. વિશ્વામિત્રી નદીમાં હાલ ચાલી રહેલી કામગીરી દરમિયાન અનેક મગરોના મોત થયાના આક્ષેપો વચ્ચે આ નવી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. રેસ્ક્યુ બાદ મગરને પાંજરામાં પૂરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં સતત સામે આવી રહેલી મગરોની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના વિકાસ કામો વચ્ચે વન્યજીવોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Most Popular

To Top