સદનસીબે જાનહાનિ ટળી
નડિયાદ.
શહેરના ન્યુ યોર્ક ગ્રાઉન્ડ નજીક ભોજ તલાવડી પાસે આજે એક સીએનજી બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, નડિયાદના ન્યુ યોર્ક ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ભોજ તલાવડી પાસે પસાર થઈ રહેલી સીએનજી બાઇકમાં એકાએક આગ લાગી ગઈ હતી. બાઇકમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ નીકળતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. 112ની ટીમે તરત જ નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.સીએનજી કિટમાં લીકેજ કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.
આ અંગે નડિયાદના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે “ભોજ તલાવડી પાસે સીએનજી બાઇકમાં આગ લાગ્યાની જાણ 112 મારફતે મળતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.