National

આંતરરાષ્ટ્રીય યોગ દિન-2021 નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન સાથે ટેલિવિઝન પર પ્રસારણ

નવી દિલ્હી : સોમવારે જ્યારે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (World yoga day) છે ત્યારે કોવિડ-19ના રોગચાળાને પગલે દેશમાં જાહેર મેળાવડાઓ પર મૂકાયેલા નિયંત્રણોને ધ્યાનમાં રાખીને કોઇ જાહેર યોગ કાર્યક્રમો (no public event) આ વર્ષે પણ નહીં થાય પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિન-2021 નિમિત્તે યોજાનાર મુખ્ય કાર્યકમનું ટેલિવિઝન પર પ્રસારણ (telecast) કરવામાં આવશે, જેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન (pm modi address) પણ દર્શાવવામાં આવશે એમ આયુષ મંત્રાલયે આજે જણાવ્યું હતું.

આ કાર્યક્રમ 21 મી જૂને સવારે 6.30 કલાકે દૂરદર્શનની તમામ ચેનલો પર શરૂ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના પ્રવચન ઉપરાંત રાજ્ય કક્ષાના આયુષ મંત્રી કિરણ રિજિજુનું સંબોધન અને મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગા દ્વારા જીવંત યોગ પ્રદર્શનનું પણ પ્રસારણ કરવામાં આવશે એ મુજબ આયુષ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એવા સમયે આવ્યો છે કે જ્યારે વિશ્વ હજી પણ કોવિડ-19ના રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. ગયા વર્ષે તો આ સમયે વૈશ્વિક સ્થિતિ વધુ ખરાબ હતી.

આયુષ મંત્રાલય એ યોગ દિન માટેનું નોડલ મંત્રાલય છે અને તેણે વ્યક્તિના આરોગ્યમાં યોગની ભૂમિકાને પ્રદર્શિત કરવાનું કાર્ય કર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ યોગ ફોર વેલનેસ છે. આ દિવસે જાહેર કાર્યક્રમોના અભાવે અનેક ડિજિટલ કાર્યક્રમોનું આયોજન આ વખતે આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. વિદેશોમાંના ભારતીય મિશનો પણ તેમના પોત પોતાના દેશમાં યોગ દિન નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

Most Popular

To Top