Business

મુકેશ અંબાણીની આ ઈચ્છા ટેલિકોમ કંપનીઓ માટે છે મુશ્કેલી

દિલ્હી: દેશમાં 5G સર્વિસ શરુ થઇ ગઈ છે. છતાં લોકોમાં 2Gનું વળગાળ જોવા મળી રહ્યું છે. મોબાઈલ નિર્માતા કંપનીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ભારતમાં હજુ પણ દર વર્ષે લગભગ 6 થી 7 કરોડ 2G ફોન વેચાઈ રહ્યા છે જેની કિંમત રૂ. 800 થી શરૂ થાય છે અને યોગ્ય ફીચર્સવાળા 4G સ્માર્ટ ફોનની શરૂઆતની કિંમત રૂ. 4,000 થી રૂ. 5,000ની રેન્જમાં હશે.

35 કરોડ 2G યુઝર્સને 4G-5G પર શિફ્ટ કરવું મોટો પડકાર
દેશના પ્રમુખ શહેરોમાં 5G સેવાઓ શરૂ થવા જઇ રહી છે. પરંતુ ટેલિકોમ કંપનીઓ માટે 2G ના વપરાશકર્તાઓ મોટી સમસ્યા છે. કારણ કે દેશમાં 2G યુઝર્સની સંખ્યા 35 કરોડની છે. માર્યાદિત સમયમાં આ વપરાશકર્તાઓને 4G અથવા 5G પર શિફ્ટ કરવું એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં, વારંવાર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ટેલિકોમ કંપનીઓ તેમના 2G વપરાશકર્તાઓને 4G અથવા 5G સેવાઓમાં કેટલી ઝડપથી લઈ જશે. ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ દર્શાવે છે કે વર્ષ 2021માં લગભગ 40 મિલિયન 2G ગ્રાહકો 4Gમાં અપગ્રેડ થયા હતા. જો આ ગતિ ચાલુ રહેશે, તો કંપનીઓને હાલના 35 કરોડ 2G ગ્રાહકોને 4G અથવા 5Gમાં અપગ્રેડ કરવામાં લગભગ નવ વર્ષ લાગશે. કારણ કે સામાન્ય રીતે ભારતીય મોબાઈલ યુઝર્સ તેમના 2જી મોબાઈલ ફોન હેન્ડસેટને ત્રણ વર્ષમાં બદલી નાખે છે. આ રીતે જોઈએ તો 2G થી 4G માં આવતા યુઝર્સનું માર્કેટ લગભગ 10 કરોડનું છે. એક સંશોધન, ઈન્ડિયા મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સ 2022 અનુસાર ભારતમાં 2026 સુધીમાં 32.9 કરોડ 5G ગ્રાહકો હશે. જો કુલ સબ્સ્ક્રાઇબર બેઝ વર્તમાન સ્તરે રહે છે, તો તે માત્ર 30 ટકા હશે. બાકીના ગ્રાહકો 2G અથવા 4G કેટેગરીમાં હશે.

ભારતમાં દર વર્ષે 7 કરોડ 2G ફોન વેચાય છે
તાજેતરમાં વર્લ્ડ વાઈડ વેબ ફાઉન્ડેશન દ્વારા આ સંદર્ભમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવાયું છે કે ભારત સહિત દક્ષિણ એશિયામાં સ્માર્ટફોનની સરેરાશ કિંમત ગ્રાહકની સરેરાશ માસિક આવકના લગભગ 40 ટકા છે. જ્યારે વૈશ્વિક સરેરાશ માત્ર 26 ટકા છે અને ઉત્તર અમેરિકામાં આ આંકડો માત્ર 2 ટકા છે. આ સિવાય 4Gના રેટ પણ 2G કરતા ઘણા વધારે છે.

આ કંપનીઓ પાસે છે 2Gના ગ્રાહકો
તાજેતરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ભારત ટૂંક સમયમાં 2G મુક્ત થઈ જાય. જો કે, રિલાયન્સ જિયો પાસે કોઈ 2G ગ્રાહક નથી કારણ કે તે જૂના નેટવર્કનું સંચાલન કરતું નથી. રિલાયન્સ જિયોએ તેની કામગીરી સીધી 4Gથી શરૂ કરી હતી. Jioના હરીફો ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપરાંત, સરકારી ટેલિકોમ જાયન્ટ BSNL પાસે 2G ગ્રાહકો છે. રિલાયન્સ જિયોએ ગ્રાહકોને 2G થી 4Gમાં અપગ્રેડ કરવા આશરે રૂ. 1,100ની ઓફર કરી હતી. જેમાં, તેણે ગ્રાહકોને 4G ફીચર ફોન અને છ મહિનાનો પ્રીપેડ પ્લાન ઓફર કર્યો હતો. આ પ્રયત્નો પછી પણ ત્રણ વર્ષમાં Jio તેના નેટવર્કમાં માત્ર 11 કરોડ 2G ગ્રાહકોને જોડવામાં સફળ રહ્યું હતું.

Most Popular

To Top