Business

કારમાં ફરજિયાત 6 એરબેગના મામલે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

નવી દિલ્હી: મુસાફરોની (Passenger) સુરક્ષા (Safety) માટે વાહનોમાં (Vehicles) એરબેગની (Air Bag) સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ (NitinGadkari) આ મામલે મોટી જાહેરાત કરી છે.

એવા સમાચાર હતા કે ઓક્ટોબર મહિનાથી દેશમાં વેચાતી તમામ કારમાં 6 એરબેગ ફરજિયાત કરવામાં આવશે પરંતુ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ સમાચારને રદિયો આપ્યો છે. એક કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમો (Crash Test Guideline) અમલમાં આવ્યા બાદ સરકાર ભારતમાં પેસેન્જર કાર માટે છ-એર બેગ સલામતી નિયમને ફરજિયાત બનાવશે નહીં.

ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ACMA)ની વાર્ષિક બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર કાર માટે 6 એરબેગ્સનો નિયમ ફરજિયાત બનાવશે નહીં. તેમણે કહ્યું કે દેશમાં ઘણી વાહન ઉત્પાદક કંપનીઓ છે જે પહેલાથી જ 6 એરબેગ આપી રહી છે અને તે કંપનીઓ તેમની કારની જાહેરાત પણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાની જરૂર નથી.

નીતિન ગડકરીએ કહ્યું કે દેશનું ઓટો સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. ભારત તાજેતરમાં જ જાપાનને પછાડી વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. આવી સ્થિતિમાં વાહનોમાં નવી ટેક્નોલોજીને લઈને સ્પર્ધા પણ વધી રહી છે. વાહન માલિકો પણ નવી ટેક્નોલોજી અને ફિચર્સને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેથી કેટલીક કંપનીઓએ તેમના વાહનોમાં 6 એરબેગ્સ સામેલ કરી દીધા છે. આ સ્થિતિમાં, જે બ્રાન્ડ્સ સ્પર્ધાત્મક રહેવા માંગે છે તેઓ તેમના વાહનોમાં 6 એરબેગ્સ પણ આપશે. પરંતુ અમે તેને ફરજિયાત બનાવીશું નહીં.

નવા નિયમો ઓક્ટોબરથી લાગુ થશે
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં નવા નિયમો ઓક્ટોબર 2023થી લાગુ કરવામાં આવશે. તેમણે મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દેશમાં મોટા ભાગની નાની કાર મધ્યમ વર્ગના પરિવારો ખરીદે છે અને ઓછા બજેટની કારની માંગ સૌથી વધુ છે. પરંતુ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વાહન ઉત્પાદક કંપનીઓ માત્ર ઊંચી કિંમતવાળી પ્રીમિયમ કારમાં જ 6 કે 8 એરબેગની સુવિધા શા માટે આપે છે.

Most Popular

To Top