Madhya Gujarat

બે માસુમ ભાઈઓની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે બે સગીર માસુમ ભાઈઓની હત્યા કરી બંન્નેની લાશને ફેંકી દીધાં બાદ આરોપી ઈસમ ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યાં હતાં જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી સઘન પુછપરછ કરતાં પરિવાર સાથે સામાન્ય ઝઘડાની અદાવતે બંન્ને માસુમ બાળકોની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

તારીખ ૧૨ મી મેના રોજ ધાનપુર તાલુકાના કાંટુ ગામે ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ સોમાભાઈ બામણીયાના બે માસુમ પુત્ર જેમાં એક દિલીપભાઈ (ઉ.વ. ૧૦ અને બીજા રાહુલભાઈ (ઉ.વ.૫) બંન્ને બાળકોને કાટું ગામના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા બંન્ને બાળકોને ટીફીન જમાડવાની લાલચ આપી પોતાની મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને બંન્ને બાળકોને મોતને ઘાટ ઉતારી એકની લાશને જેસાવાડા રોડ ઉપર કાટું ગામના સીમાડે પાણીના ટાંકાની બાજુમાં  પથ્થરો નીચેથી એક બાળકના મૃતદેહને ફેંકી દીધો હતો જ્યારે બીજા બાળકના મૃતદેહને કાંટુ ગામની અંદર સાત – આઠ કિલોમીટર દુર ગામના સીમાડામાં ફેંકી દીધાં હતાં.

આ સંબંધે મૃતક બંન્ને બાળકોના પિતા નરવતભાઈ દ્વારા રાજેશભાઈ વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કરતાં નાસતો ફરતો આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયાને પોલીસે રાઠવા ઘાટાની ખજુરી ચોકડી ઉપરથી ઝડપી પાડી પોલીસ મથકે લઈ આવ્યો હતો અને પોલીસે તેન સઘન પુછપરછ કરતાં ૧૦ દિવસ પહેલાના સામાન્ય ઝઘડામાં પોતે અપમાનિત થતાં ઉપરોક્ત બંન્ને બાળકોને મોતને ઘાટ ઉતાર્યાં હોવાનું પોલીસ સમક્ષ કબુલતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top