Comments

રાહુલ ગાંધીને દસ વર્ષ પહેલાં હાથનાં કરેલાં આજે હૈયે વાગ્યાં છે

વર્ષ ૨૦૧૯ માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે “કેમ દરેક ચોરોની અટકમાં મોદી આવે છે? નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી.”નિરવ મોદી એક ભાગેડુ હીરાનો વેપારી છે, જ્યારે લલિત મોદી આઈપીએલનો પૂર્વ વડો હતો, જેને જીવનભર માટે આઇપીએલમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની આ કોમેન્ટ સામે સુરતની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને ચાલુ વર્ષની ૨૩ મી માર્ચના રોજ રાહુલ ગાંધીને માનહાનિના ગુના હેઠળ બે વર્ષની જેલ થઈ છે.

મહત્ત્વનો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીને સજા થયા બાદ તે જ દિવસે તેમને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સીધી વાત એમ છે કે કદાચ રાહુલ ગાંધીની પોલિટિકલ કારકિર્દીનો હવે અંત આવી શકે છે. અહીં બે ત્રણ વાતો જાણવી રસપ્રદ રહેશે. માનહાનિનો કાયદો શું છે? રાહુલ ગાંધી ગુનેગાર પુરવાર થયા તે સાથે તેમને કયા કાયદા હેઠળ લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા છે? દસ વર્ષ પહેલાંનો આ કાયદો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો? વટહુકમ વડે જ્યારે યુપીએ સરકાર આ કાયદાનો છેદ ઉડાવવા માંગતી હતી ત્યારે કેમ રાહુલ ગાંધીએ વચ્ચે પડી તે કાયદાને ચાલુ રખાવ્યો હતો? આ દરેક બાબતો આપણે વિસ્તારથી જોઈશું.

ઇંડિયન પિનલ કોડ (આઇપીસી) સેક્શન ૪૯૯ અને ૫૦૦ મુજબ કોઈ વ્યક્તિની જાહેર છબીને નુકસાન પહોંચે એ પ્રકારનું જાણીબૂઝીને કરવામાં આવતું કાર્ય માનહાનિ ગણી શકાય. જો આ ગુનો સાબિત થાય તો બે વર્ષ સુધીની જેલ અને/અથવા દંડ થઈ શકે છે. ઘણી વાર એવી દલીલ કરવામાં આવે છે કે માનહાનિનો ગુનો તે લોકોના વાણીસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારો ઉપર તરાપ છે. સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ માનહાનિનો ગુનો તે બંધારણ મુજબ વાજબી છે તેમજ દરેક નાગરિકને પોતાની જાહેર છબી સાચવવાનો પણ મૂળભૂત અધિકાર છે, જેથી તેમની માનહાનિ ન થાય તે જોવાની બંધારણની ફરજ બને છે. રાહુલ ગાંધીને આ કાયદા હેઠળ બે વર્ષની જેલ થઈ છે.

રાહુલ ગાંધી એક માનહાનિના કેસમાં ગુનેગાર સાબિત થઈ ગયા છે અને તેમના ઉપર હજુ પણ એક આવો જ કેસ ચાલુ છે. વર્ષ ૨૦૧૪ માં થાણેમાં રાખવામાં આવેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સભ્યોએ મહાત્મા ગાંધીની હત્યા કરી તેવું કહ્યું હતું, જે માટે આરએસએસના સમર્થકો દ્વારા રાહુલ ગાંધી ઉપર માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે, જેનો ચુકાદો પણ રાહુલ ગાંધીની ભવિષ્યની કારકિર્દી માટે મહત્ત્વનો છે.

ભારતમાં વર્ષ ૧૯૫૧ થી “રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ”નામનો એક કાયદો અમલમાં છે. આ કાયદાનું મુખ્ય કામ વિધાનસભા અને લોકસભાના સભ્યો સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી યોગ્ય પગલાં લેવાનો છે. આ કાયદા મુજબ જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની જેલ થાય તો તેને બરતરફ કરવામાં આવે અને સજા પૂરી થયાનાં બીજાં છ વર્ષ સુધી તે ચૂંટણી ન લડી શકે એવી જોગવાઈ છે. જો તે વ્યક્તિ સજાના સમયે વિધાનસભા કે લોકસભાના સભ્ય હોય તો કાયદાની કલમ ૮(૪) મુજબ તેને ત્રણ મહિનાનો સમય આપવામાં આવતો હતો, જેમાં તે સભ્ય ઉપલી કોર્ટમાં અપીલ કરી શકે અને અપીલનો નિર્ણય આવે ત્યાં સુધી તેનું સભ્યપદ ચાલુ રહે.

કાયદાની આ કલમ સામે લીલી થોમસ નામનાં મહિલા વકીલે વર્ષ ૨૦૦૫ માં અરજી કરી હતી અને છેવટે વર્ષ ૨૦૧૩ ના એપ્રિલમાં આ કલમ રદ કરવામાં આવી હતી. જેને કારણે ગુનાહિત વ્યક્તિ વિધાનસભા કે લોકસભાના સભ્ય હોય તો પણ તેને ત્રણ મહિનાનો સમય ન મળતાં તરત જ બરતરફ કરવામાં આવે છે. રાહુલ ગાંધીને પણ કાયદાની આ કલમ દૂર થવાને કારણે જ આટલા વહેલા બરતરફ કરવામાં આવ્યા હતા. આ કાયદા હેઠળ ભૂતકાળમાં તમિલનાડુનાં તત્કાલીન મુખ્ય મંત્રી જયલલિતા અને બિહારના તે સમયના મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવને પણ બરતરફ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૩ નો આ ચુકાદો “લીલી થોમસ જજમેંટ”તરીકે વધુ પ્રસિદ્ધ છે.

આ લીલી થોમસ કોણ છે? એ પણ જાણવું જોઈએ. લીલી થોમસ ભારતનાં એવાં પ્રથમ મહિલા હતાં, જેમણે વર્ષ ૧૯૫૯ માં કાયદામાં અનુસ્નાતક કક્ષાની ઉપાધિ મેળવી હતી. તેમણે જ્યારે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકેની સેવા આપવી ચાલુ કરી ત્યારે તેમના સિવાય ફક્ત ત્રણ જ મહિલાઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકેની ફરજ નિભાવી રહ્યા હતા. લીલી થૉમસનું માનવું હતું કે જો ભારતની સંસદ ભ્રષ્ટાચારી રાજકારણીઓથી મુક્ત હશે, તો જ લોકશાહી તેના પાયાના નિયમો મુજબ કામ કરી શકશે. તેમનું કહેવું હતું કે કાયદાઓમાં સુધારો કરાવવો તે દરેક વકીલનું મુખ્ય કર્તવ્ય છે. વર્ષ ૧૯૬૪ થી તેમણે અનેક કાયદાઓમાં સુધારા માટે અપીલો કરી હતી અને તેમના થકી ભારતીય કાયદાઓમાં ઘણા ઐતિહાસિક ફેરફારો જોવા મળ્યા છે.

સરકારી ભરતી માટેની પરીક્ષાઓની જરૂરિયાત અને રેલવે કર્મચારીઓ સાથે થયેલું સરકારનું ઘર્ષણ જેવા મુદ્દાઓની સાથે ફક્ત બીજાં લગ્ન કરવા માટે જ કરવામાં આવતું મુસ્લિમ ધર્મપરિવર્તન જેવા મુદ્દાઓ માટે પણ લીલી થૉમસે કાયદાકીય લડતો ચલાવી હતી. વર્ષ ૨૦૦૫ માં “રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ”માં સુધારા માટેની તેમણે કરેલી અરજી કાઢી નાખવામાં આવી હતી. છેક ત્રીજી વારની તેમણે કરેલી અરજી દાખલ થઈ અને છેવટે વર્ષ ૨૦૧૩ માં ચુકાદો આવ્યો. કલમ ૮(૪) રદ કરવા સામે કોંગ્રેસના તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ વટહુકમ જાહેર કરવાના હતા ત્યારે લીલી થૉમસે તે વટહુકમના વિરોધની પૂરતી તૈયારી પણ કરી લીધી હતી. જાણીને નવાઈ લાગશે કે વર્ષ ૨૦૧૩ માં લીલી થૉમસની ઉંમર ૮૪ વર્ષ હતી. તેઓ ૯૦ વર્ષની ઉંમર સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યરત હતાં અને દૈનિક આઠ કલાક કામ કરતાં હતાં. ૨૦૧૯ માં તેમનું મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર ૯૧ વર્ષ હતી.

વર્ષ ૨૦૧૩ માં જ્યારે “રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ”એક્ટમાં બદલાવ આવ્યો અને સભ્યોને અપીલ કરવા માટે આપવામાં આવતો ત્રણ મહિનાનો સમય રદ થયો, ત્યારે કોંગ્રેસ દ્વારા આ ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મનમોહન સિંહની સરકાર આ ચુકાદાના વિરોધમાં વટહુકમ લાવી હતી, જેથી સંસદસભ્યોને ગુનેગાર પુરવાર થવા છતાં સંસદમાંથી તરત બરતરફ ન કરી શકાય. આ વટહુકમનો અમલ થાય એ પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ વટહુકમના જાહેરમાં બે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. ભ્રષ્ટ અને ગુનાહિત નેતાઓને છાવરતા વટહુકમના ટુકડા કરી રાહુલ ગાંધીએ એવું સ્થાપિત કરવાની કોશિશ કરી હતી કે તેઓ રાજકારણમાં બદલાવ લાવવા આવ્યા છે.

રાહુલ ગાંધી આ એક કાર્ય વડે આખા દેશની નજરોમાં એક પ્રામાણિક અને મક્કમ રાજકારણી તરીકેની પોતાની છબી ઉપાસવી શક્યા હતા. તે સમયના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આ વટહુકમ સાથે સહમત નહોતા પરંતુ વટહુકમ પાછો ખેંચાયો તેનું મુખ્ય કારણ રાહુલ ગાંધીને માનવામાં આવે છે. આજે જ્યારે “રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ”એક્ટ અને તેની કલમમાં ફેરફારના વિરોધમાં કોંગ્રેસ નિવેદનો આપી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૩ માં તો રાહુલ ગાંધી સંપૂર્ણરૂપે આ કાયદાના પક્ષમાં જ હતા. જો મનમોહન સિંહ સરકાર વડે લવાયેલો વટહુકમ કાયદો બની ગયો હોત તો કદાચ રાહુલ ગાંધીને પોતાની લોકસભાની સભ્યતા ગુમાવવાનો મોકો ન આવ્યો હોત.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top