Madhya Gujarat

નડિયાદની યુવતી સાથે લગ્ન બાદ કેનેડા ગયેલા પતિએ સંપર્કો તોડ્યાં

નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે સંપર્કો તોડી નાંખ્યાં હતાં. નડિયાદમાં રહેતા નિકીતાના લગ્ન જાન્યુઆરી -૨૦ માં વડોદરાના વાઘોડીયામાં આવેલા પુષ્પ બંગ્લોઝમાં રહેતા જય પંચાલ સાથે થયા હતા. આ લગ્નના ત્રણ દિવસ બાદ જ કરિયાવર ઓછું આપ્યું હોવાનું લઇને સાસુ-સસરા- પતિ દ્વારા નિકીતાબેનને કહેવામાં આવતાં, તેઓએ આ વાતની જાણ પોતાના પિતાને કરી હતી. જેથી પિતા બીજો વધારે કરિયાવર લઇને આવ્યા હતા.

બાદમાં ૧૬ મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ જય કેનેડા જતો રહ્યો હતો અને ત્રણેક મહિનામાં પત્ની નિકીતાબેનને પણ કેનેડા લઇ જવાની હૈયાધારણા આપી હતી. સાસરીમાં રહેતા નિકીતાબેનને બાદમાં સાસુ-સસરા અને નણંદ દ્વારા કનડગત કરવાની શરૂ કરવામાં આવી હતી. નિકીતાબેન બિમાર પડતાં તેમને દવાખાને પણ સાસરીવાળા લઇ જતાં ન હોવાથી તેઓએ પોતાના પિતાને ફોન કર્યો હતો, જેથી પિતા પુત્રીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ દરમિયાન જય પંચાલ કે નિકીતાબેનના સાસરીયાઓએ તેમને ફોન કર્યો ન હતો.

નિકીતાબેન જ્યારે પણ જયને કેનેડા ક્યારે લઇ જશો તેમ પૂછતાં ત્યારે તે બહાના બતાવતો હતો. સમય જતાં જય પંચાલ પત્ની નિકીતા ફોન કે મેસેજ કરે તો પણ વાત કરતો ન હતો. જેથી નિકીતાબેન દ્વારા મહિલા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જોકે, તેમાં કોઇ સમાધાન ન થતાં અને કેનેડા લઇ જવાનો વાયદો કરીને જય પંચાલ નિકીતાબેનને મૂકીને એકલો જતો રહ્યા બાદ છૂટાછેડા આપી દે તેમ કહીને તકરાર કરતો હોવાથી અંતે નિકીતાબેને મહિલા પોલીસ મથકે મિત્તલ પંચાલ, રક્ષાબેન મુકેશભાઇ પંચાલ, મુકેશભાઇ બાબુલાલ પંચાલ અને જય પંચાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top