SURAT

મોટા વરાછામાં ચકચાર: ખેડુતને હિરા ભરવાડ અને સાગરીતોએ ચપ્પુના ઘા અને ફટકા મારી પતાવી દીધો

સુરત: (Surat) શહેરના મોટા વરાછા (Varacha) ખાતે ગઈકાલે સાંજે કહેવાતી વિધવા પ્રેમીકાની પૌત્રીને લઈને કુતરાઓને જમવાનું આપવા માટે મોપેડ ઉપર જઈ રહેલા ખેડૂતને (Farmer) ભડિયાદરા ફાર્મ પાસે હિરા ભરવાડ અને તેના સાગરીતોએ રોકીને ચપ્પુના ઘા તથા ફટકા મારી હત્યા (Murder) કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • ખેડૂત તેની કહેવાતી પ્રેમીકાના પૌત્રીને મોપેડ ઉપર કુતરાઓને જમવાનું આપવા જતો હતો
  • રસ્તામાં જ માર મારતા બાળકી રડતી રડતી ઘરે ભાગી ગઈ અને ઘટનાની જાણ કરી હતી
  • અમરોલી પોલીસે હિરા ભરવાડ સહિત ત્રણની સામે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખરીફળીયામાં રહેતો 35 વર્ષીય હિતેશ મણીલાલ પટેલ ખેતી કામ કરતો હતો. ગઈકાલે સાંજે મોટા વરાછાના દશેરા ટેકરીમાં રહેતી કહેવાતી વિધવા પ્રેમીકા ચંપા ચૌધરીના ઘરે હતો. ત્યાંથી તેની 9 વર્ષીય પૌત્રી સાથે મોપેડ પર પોતાના ઘરે કૂતરાને ખાવાનું આપવા નીકળ્યો હતો. ત્યારે ભડિયાદરા ફાર્મ પાસે માથાભારે હીરા ભરવાડ (રહે. નીચલી કોલોની, મોટા વરાછા) સહિત ત્રણેક જણાએ આંતરી લાકડાના ફટકા હુમલો કર્યો હતો. જ્યાં રડતા રડતા નાની દિકરી ઘરે ગઈ અને ચંપાબેનને અબ્બુ (હિતેશ કાકા) ને હિરા ભરવાડ અને બધા મારતા હોવાનું કહ્યું હતું. જેથી ચંપાબેન તુરંત જ ભડીયાદરા ફાર્મ પાસે પહોંચતા હીરા ભરવાડ સહિત ત્રણેય ભાગી ગયા હતા. હિતેશભાઈને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અમરોલી પોલીસે હિરા ભરવાડ સહિત ત્રણની સામે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top