SURAT

પાણી વિનાના સુરતના આ લેક ગાર્ડન માટે મનપાએ લીધો મહત્ત્વનો નિર્ણય

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણા લેક ગાર્ડન (Lake Garden) ડેવલપ કરાયા છે. હાલના બજેટમાં મનપા કમિશનર દ્વારા 15 તળાવના ડેવલપમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શહેરનાં તમામ 38 તળાવ ડેવલપ કરવાનું મનપાનું આયોજન છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તળાવોના ડેવલપમેન્ટ સાથે તેની આસપાસનો વિસ્તાર પણ ડેવલપ કરાશે. અંતર્ગત હવે ડભોલીમાં આવેલા તળાવને રૂપિયા 97.50 લાખના ખર્ચે ડેવલોપ (Re Develop) કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તળાવને ડેવલોપ કરવા માટેના અંદાજ ગટર સમિતિ સમક્ષ મુકવામાં આવ્યા છે.

  • ડભોલી ખાતે આવેલા લેક ગાર્ડનને 97.50 લાખના ખર્ચે ડેવલપ કરવામાં આવશે
  • ડભોલી લેકમાં પાણી રહેતું નહીં હોવાથી નજીકમાં ટીટીપી બનાવીને પાણી લાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું

ડભોલી તળાવમાં ચોમાસા (Monsoon) બાદ પાણી રહેતું નથી. જેથી સમગ્ર વર્ષ દરમ્યાન તળાવમાં પાણીનું લેવલ પણ જળવાઇ રહે તે રીતથી ડેવલપ કરાશે. અને ગાર્ડન વપરાશ માટે બોરવેલ, ટેન્કર પાણીના જળ સંશાધનો પરનું ભારણ ઘટે તથા નદી નાળામાં છોડવામાં આવતા ટ્રીટેડ વેસ્ટ વોટરમાં (Treated Waste Water) પણ ઘટાડો થાય તે હેતુસર લેક ડેવલપમેન્ટ કરાશે. તળાવ નજીક સિંગણપોર પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Suez Treatment Plant) છે અને અહી નજીકમાં જ 0.25 એમએલડી ક્ષમતાનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. અહીંથી પાઇપલાઇન મારફતે ડભોલીના તળાવમાં પાણી ભરવાનું આયોજન છે. આ માટેનો ડીપીઆર (DPR) તૈયાર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના 1 હેક્ટરથી મોટાં તળાવો છે તેવા લેકના ડેવલપમેન્ટ પર ભાર મુકાશે. શહેરમાં નાનાં-મોટાં કુલ 192 તળાવ છે. જે પૈકી મોટા 38 તળાવની આસપાસનો વિસ્તાર ડેવલપ કરાશે. અને પ્રથમ તબક્કામાં હાલમાં 15 તળાવના ડેવલપમેન્ટ પર ભાર મુકાશે.

Most Popular

To Top