SURAT

રાજ્યની જેલોમાં આખી રાત મેગા સર્ચ ઓપરેશન, સુરતમાં કેદીઓએ બેરેકમાં આગ લગાવી

સુરત: (Surat) ગાંધીનગર પોલીસ (Police) ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, ડીજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠક પૂર્ણ થયાના થોડા જ સમયમાં સુરતની લાજપોર સહિતની રાજ્યની તમામ જેલમાં (Jail) સાગમટે દરોડા પાડ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ પણ લઈ લેવાયાની હાલ ચર્ચા છે. આખી રાત ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં દરોડા (Raid) પાડનારા તમામ અધિકારીઓએ બોડી વોર્ન કેમેરા લગાવેલા હતા. બેરેકમાં કેદીઓના ઓશિકામાંથી નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. દરમ્યાન પોલીસની કામગીરીને રોકવા માટે કેદીઓએ બેરેકમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે માહોલ તંગ બન્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરાની જેલમાંથી પોલીસે નશાના પદાર્થો, ચરસ, ગાંજો, ગુટખા તેમજ મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓની ટીમે લાજપોર જેલની અંદર સર્ચ-ઓપરેશન કરતાં ચોંકાનારી ચીજો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જેલમાંથી 10 જેટલા મોબાઈલ મળ્યા હતા. એટલું જ નહીં ચરસ અને ગાંજાની પડીકીઓ પણ મળી આવી હતી. પોલીસ દ્વારા ઓશીકા ફાડીને તપાસ કરતા નશાની પડિકીઓ મળી આવી હતી. પોલીસને સર્ચ કરતા જોઈ તપાસ કાર્યમાં વિઘ્ન લાવવા માટે કેદીઓએ બેરેકમાં આગ લગાવી દીધી હતી. કેદીઓનો રોષ જોઈને લાજપોરમાં બખ્તર સાથે વધારાની પોલીસને મોકલવામાં હતી.

સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં ભૂતકાળમાં મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી. જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડી રાત સુધી અહીં તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. અહીં વાત એમ છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગર પોલીસ ભવન ખાતે બેઠક મળી હતી. ત્યારે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર સહિતની જેલોમાં દરોડા પડ્યા હતા. રેડ કરવા ગયેલા તમામ અધિકારીઓ બોર્ડી વોર્ન કેમેરા લગાવેલા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્રિનેત્ર રૂમમાંથી સતત જેલોમાં ચાલી રહેલી કામગીરી પર નજર રાખી હતી. રાજ્યની તમામ જેલોમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચલાવવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, દરોડા પાછળ યુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો, છતાં ઉત્તર પ્રદેશમાં એક શખ્સની હત્યા કરાવી હતી. તેણે વોટ્સએપ કોલથી વાત કર્યા બાદ હત્યા કરાયાના આઈબી ઈનપૂટ મળતાં આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત જેલમાં કેદીઓને અપાતું ભોજન, બેરેક સહિતની બાબતોનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. લાજપોર જેલના એસપી જે.એન.દેસાઇએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રિના સમયે અધિકારીઓ દ્વારા જેલ વિઝિટ કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે મોડી રાત સુધી ચાલ્યું હતું.

Most Popular

To Top