SURAT

સુરતમાં ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીના અન્ય કારનામાઓ બહાર આવ્યા

સુરત: (Surat) સિંગણપોરમાં ફરસાણના વેપારીને (Trader) હનીટ્રેપનો (Honeytrap) ભોગ બનાવનાર ટોળકી જેલમાં ધકેલાઇ છે, તેઓની એક દિવસની પુછપરછમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ટોળકી પૈકીની યુવતીએ સરથાણા વિસ્તારમાં એક યુવકને ફસાવ્યો હતો, યુવકે રૂપિયા આપવાની ના પાડતા તેની સામે બળાત્કારની (Rape) ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વરાછામાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા વેપારીને પાયલ ઉર્ફે જયશ્રી નામની યુવતીએ હેલો લખીને મેસેજ કર્યો હતો. વેપારીએ સામે રીપ્લાય આવતા પાયલે હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. પાયલ અને તેની સાથે બીજી યુવતી તેમજ અન્ય ચાર યુવકોએ ભેગા મળીને વેપારીને ડભોલી પાસે એક ફ્લેટમાં બોલાવીને હનીટ્રેપનો ભોગ બનાવ્યો હતો. આ વેપારીએ ચીટર ટોળકીને 10 હજાર આપી દીધા હતા અને બીજા 50 હજારની માંગ કરી હતી. વેપારીએ પાછળથી આપી દેવાનું કહી તેઓના ચુંગાલમાંથી બહાર નીકળ્યા હતા.

વેપારી સીધા જ પોલીસ મથકે જઇને ફરિયાદ આપતા પોલીસે જયશ્રી ઉર્ફે પાયલ સહિત છની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. સિંગણપોર પીઆઇ વસાવાના જણાવ્યા પ્રમાણે પાયલે સરથાણામાં પણ એક યુવકને પોતાનો શિકાર બનાવ્યો હતો. પાયલે યુવકને બોલાવીને રૂપિયા માંગ્યા હતા. યુવકે રૂપિયા આપવાની ના પાડતા તેની સામે બળાત્કારની ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે હાલ તો આ ટોળકીને લાજપોર જેલમાં મોકલી આપ્યા છે, સાથે જ ટોળકીએ બીજા કેટલા વ્યક્તિની પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

સુરત પોલીસ આવનારા દિવસોમાં ફ્રોડ સેલ, સોશિયલ મિડીયા સેલ સહિતનો સ્ટાફ પણ વધારાશે
સુરત: શહેર પોલીસ દ્વારા સુરતને સાયબર સેફ સુરત બનાવવા સાયબર ક્રાઈમ સેલ એનેક્ષ શરૂ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સેલના નવા ભવનનું ઉદઘાટન કરાયું હતું. સાયબર ક્રાઈમ આજના સમયમાં સૌથી વધારે થઈ રહ્યા છે. અનેક લોકો સાયબર ક્રાઈમનો શિકાર થઈ રહ્યા છે. મોબાઈલ અને સોશિયલ મિડીયાનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઈમ ફોર્સમાં વધારો કરવો પડશે. અત્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની જગ્યા ખૂબ જ નાની હતી. ત્યાં સ્ટાફને બેસવા માટે પૂરતી જગ્યા પણ મળતી નહોતી. જેને ધ્યાને લઈ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ચેમ્બર ઓફ કોમર્સની મદદથી હાલના પોલીસ સ્ટેશનની પાછળ જ સાયબર ક્રાઈમ સેલ એનેક્ષનું નિર્માણ કરાયું છે. જ્યાં ચાર નવા રૂમ બનાવ્યા છે. હવે ધીમે ધીમે સાયબર ક્રાઈમ સેલમાં સ્ટાફ પણ વધારાશે. સાથે જ ટેક્નિકલી સોફ્ટવેર પણ વધારી વધુ આધુનિક બનાવાશે. આગામી દિવસમાં ફ્રોડ સેલ, સોસિયલ મિડીયા સેલ માટેનો સ્ટાફ પણ વધારાશે. જેથી સાયબર ક્રાઈમના કેસમાં ડિટેક્શનમાં વધારો થશે.

Most Popular

To Top