Gujarat

સોલાર રૂફટોપ ઉપર સબસીડીની યોજના માર્ચ-2025 સુધી લંબાવવામાં આવી

ગાંધીનગર : વર્ષ ૨૦૧૯થી શરૂ કરાયેલી આ “સૂર્ય ગુજરાત” યોજનાની સમય મર્યાદા માર્ચ-૨૦૨૨ સુધીની હતી. સોલાર રૂફટોપ (Solar rooftop) ઉપર સબસીડી (Subsidy) આપતી આ યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો છે, તેવુ ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. કનુભાઇ દેસાઇએ વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણયથી રાજ્યના ૭ લાખ જેટલા રહેણાક ગ્રાહકોને ૩૦૦૦ મેગા વોટની સોલાર કેપેસિટી માટે અંદાજીત રૂ।.૪૯૮૯ કરોડ સબસીડીનો લાભ ત્રણ વર્ષમાં મળશે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજય-કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨૦૦૦ કરોડની સહાયથી ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોને ત્યાં સોલાર સિસ્ટમનું સ્થાપન કરવામાં આવ્યું છે જેની ક્ષમતા ૧૧૮૩ મેગાવોટ જેટલી છે. હાલ, સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.

રહેણાક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચમી ઑગષ્ટ ૨૦૧૯ થી સોલાર રૂફટોપ સબસીડી યોજના “સૂર્ય ગુજરાત” જાહેર કરાઇ છે. આ યોજના અંતર્ગત રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રથમ ૩ કિલોવોટ સુધી નિયત કરેલ કિંમતના ૪૦% સબસીડી તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦% સબસીડી મળવાપાત્ર છે. આ ઉપરાંત ગ્રુપ હાઉસિંગ સોસાયટી (GHS), રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન(RWA)ની કોમન સુવિધાઓના વીજજોડાણો ઉપર ઘર દીઠ ૧૦ કિલોવોટની મર્યાદામાં ૫૦૦ કિલોવોટ સુધી ૨૦% સબસીડી આપવામાં આવે છે.

આ યોજના માટે રાજ્યના રહેણાક ગ્રાહકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. રુફટોપ સોલર સિસ્ટમની સ્થાપના માટે રહેણાક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. જે પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં વધુ યોગદાન આપશે. એટલુ જ નહીં, સોલાર રૂફટોપના ઇન્સ્ટોલેશનથી વીજ બિલમાં ઘટાડો થશે અને ઉત્પાદિત વધારાની વીજળી ગ્રીડમાં વેચી વધારાની આવક ઉભી કરી એક વપરાશકર્તા-ઉત્પાદક તરીકે પણ ભૂમિકા નિભાવશે

Most Popular

To Top