SURAT

લો બોલો! સુરતમાં પનીર પછી હવે નકલી ઘીનો પર્દાફાશ, 2000 કિલોથી વઘુ નકલી ઘીનો જથ્થો પકડાયો

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોના કૌભાંડને લઈને ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા નકલી પનીર મળી આવ્યા બાદ હવે સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ થતાં હરકોઈ અચંબામાં પડી ગયા છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સચિન GIDC વિસ્તારમાં દરોડો પાડી એક મોટી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો છે. સબકા ફૂડ્સ નામે ચાલી રહેલી આ ફેક્ટરીમાં માત્ર 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે અહીંથી કુલ રૂ. 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ અત્યંત ચતુરાઈથી નકલી ઘી બનાવતા હતા. તેઓ શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ કેમિકલ એસેન્સ ભેળવી દેતા હતા. આ કેમિકલના કારણે મિશ્રણને અસલી ઘી જેવી સુગંધ અને દાણાદાર ટેક્સચર મળી જતી હતી. ઉપરથી પીળો રંગ ઉમેરી તેને ગાયના ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે તૈયાર થતું ઘી હકીકતમાં આરોગ્ય માટે ખૂબ હાનિકારક હતું. દરોડા દરમિયાન પોલીસને ફેક્ટરીમાં ચાલી રહેલી પેકિંગ પ્રક્રિયા પણ મળી આવી હતી. અહીં હજારો ખાલી ડબ્બા, પેકિંગ મશીનો, કેમિકલના કેન અને તૈયાર માલ મળી આવ્યો. સાથે જ રૂ. 2 લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી, જે આ ગેરકાયદેસર ધંધાની કમાણી હોવાનું માનવામાં આવે છે.

આ કૌભાંડ પાછળ બે મુખ્ય આરોપીઓ ભરત પોલરા અને અમીન વઢવાણીયાના નામ સામે આવ્યા છે. તેઓએ મજૂરો રાખીને સમગ્ર નેટવર્ક ગોઠવ્યું હતું અને ‘વિદુર’ નામના બ્રાન્ડ હેઠળ આ નકલી ઘી બજારમાં વેચતા હતા. આ ઘી માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને બહારના રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીઓએ તલંગપોર વિસ્તારમાં એક ગોડાઉન રાખ્યું હતું, જ્યાં પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો. ત્યાંથી કાચો માલ ફેક્ટરીમાં લાવી ભેળસેળ કરીને તૈયાર માલ બનાવવામાં આવતો હતો.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ કર્યો છે અને હવે સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે. કયા વેપારીઓ આમાં સામેલ હતા અને કયા વિસ્તારોમાં આ નકલી ઘી સપ્લાય થયું તે અંગે તપાસ ચાલુ છે. આ ઘટનાથી ફરી એકવાર ખાદ્ય સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને લોકોને સતર્ક રહેવાની જરૂરિયાત દર્શાવી છે.

Most Popular

To Top