Dakshin Gujarat

વિદ્યાર્થિનીઓની બસ પર ભારતનો તિરંગો લગાવ્યો હોવાથી યુક્રેનની બોર્ડર પર બસને રોકવામાં આવી નહીં

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની (Dadranagar Haveli) બે યુવતીઓ યુક્રેનમાં (Ukrain) અભ્યાસ (Study) કરવા ગઈ હતી. ત્યાં યુદ્ધ શરૂ થતા ફસાઈ ગઈ હતી. ભારત (India) સરકારના પ્રયાસથીએ બંને યુવતીઓ આખરે હેમખેમ સેલવાસ પોતાના ઘરે પહોંચી જતા પરિવારે (Family) રાહતનો દમ લીધો છે. યુક્રેનમાં ફલાયેલા સેલવાસની વિદ્યાર્થીઓ (Student) સહી સલામત ભારત પરત ફરે એ માટે થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્રદેશના સાંસદ કલાબેન ડેલકરને મળી રજુઆત કરી હતી. સાંસદ કલાબેને પત્ર લખી વિદેશ મંત્રાલયને તેમના વિસ્તારની બંને દીકરીઓને લાવવા ભારત સરકારને રજૂઆત કરી હતી. જેને લઈ મિશન ગંગા અંતર્ગત ભારતનાં ઘણા વિદ્યાર્થીઓ પરત આવવામાં સફળ રહ્યા છે. ત્યારે મિશન ગંગા અંતર્ગત સેલવાસના કિલવણી નાકા નજીક રહેતા અજયભાઈ ભંડારીની દિકરી ખુશી ભંડારી અને રખોલી ગામે રહેતા મનિષભાઈ પ્રધાનની દિકરી ધ્વનિ પ્રધાન યુક્રેનથી સહી સલામત સેલવાસ આવી હતી. જેને લઈ પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. સલામત રીતે દિકરીઓ પરત ઘરે ફરતાં પરિવારે સાંસદ કલાબેન ડેલકરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ બન્ને વિદ્યાર્થિનીઓએ યુક્રેનમાં તંગ બનેલા વાતાવરણ વચ્ચે કઈ રીતે દિવસો પસાર કર્યા તે વાત જણાવી હતી. જેમાં બંકરમાં દિવસો વિતાવ્યા બાદ આખરે બસ મારફતે જ્યારે યુક્રેનની બોર્ડર તરફ જઈ રહ્યા હતા. એ દરમ્યાન બસ પર ભારતનો તિરંગો લહેરાતો હોવાને લઈ બોર્ડર પર તેનાત આર્મી દ્વારા બસને અટકાવી ન હતી. જેને લઈ તેઓ સહી સલામત એરપોર્ટ પર પહોંચી ત્યાંથી પ્લેન મારફતે દિલ્હી સલામત રીતે પહોંચ્યા હતા.

સરકારની ‘ઓપરેશન ગંગા’ થકી અમને યુક્રેનમાં ભારતીય એમ્બેસીની મદદ ઉપયોગી નીવડી
પારડી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. આથી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થી ઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ ઓપરેશનને કારણે અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પારડી અને ઉદવાડા રેંટલાવના વિધાર્થીઓ પરત ફર્યા છે. જેમાં પારડી વિશ્રામ હોટલ પાછળ આવેલા દોલતનગરમાં રહેતી સાહીન પરવીન શેખ તેમજ ઉદવાડા રેંટલાવના સાંઈદર્શન રેસિડન્સીમાં રહેતો હર્ષ રજનીશ જોશી યુક્રેનના ઉજરોદ નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થી ગતરોજ ઘરે પરત ફરતા તેના પરિવારજનોમાં આનંદ છવાયો છે.

રૂબરૂ મુલાકાતમાં બંનેએ પોતાની આપવીતીની વાતો જણાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના 11 વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. જેમાં પારડી અને ઉદવાડા-રેંટલાવના વિધાર્થીઓ ભારત દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. જેના થકી અમોને જાણ થતા યુક્રેનમાં ભારતીય એમ્બેસીના મદદ ખુબ ઉપયોગી રહી હતી. વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા સાહીન પરવીનના પરિવાર અજમેરી બાવા તેમજ ઉદવાડા રેંટલાવના હર્ષના પરિવારે ઓપરેશન ગંગા સફળ થવા બદલ ભારત સરકારની સરાહના કરી હતી. પારડીના વિદ્યાર્થીઓ પરત ઘરે ફરતા પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, શાસક પક્ષના નેતા દેવેન શાહ, પારડી શહેર ઉપપ્રમુખ ઉમેશ પટેલ, વલસાડ જિલ્લા લઘુમતી કોમના મહામંત્રી સઈદ શેખ સહીત ભાજપના હોદ્દેદારો મળવા માટે આવ્યા હતા. જેઓનો વિદ્યાર્થીના વાલી અજમેરી બાવાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top